New Delhi News: હોંગકોંગ અને સિંગાપોરમાં એમડીએચ(MDH) અને એવરેસ્ટ(Everest)ના ચાર મસાલા પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે ભારત સરકારે ફૂડ કમિશ્નરોને મસાલાઓનું ઉત્પાદન અને વેચાણ કરતી તમામ કંપનીઓના મસાલાના નમૂના લેવા જણાવ્યું છે. માહિતી મુજબ બંને કંપનીઓના આ ઉત્પાદનો(પ્રોડક્ટ)માં જંતુનાશક ઇથિલિન ઓક્સાઈડની વધુ માત્રાને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ પ્રોડક્ટ્સમાં જંતુનાશક ઈથિલિન ઓક્સાઈડની વધુ માત્રાને કારણે કેન્સરનું જોખમ રહેલું છે. હોંગકોંગના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે MDH ગ્રુપના ત્રણ મસાલા મિક્સ – મદ્રાસ કરી પાઉડર, સંભાર મસાલા પાવડર અને કરી પાવડરમાં ઇથિલિન ઓક્સાઈડની વધુ માત્રા મળી આવી હતી. એવરેસ્ટની ફિશ કરી મસાલામાં પણ આ કાર્સિનોજેનિક જંતુનાશકનું પ્રમાણ મળી આવ્યું હતું.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં દેશના તમામ ફૂડ કમિશ્નરોને એલર્ટ કરી દેવાયા છે. મસાલાના સેમ્પલ કલેક્શનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્રણથી ચાર દિવસમાં એમડીએચ અને એવરેસ્ટ સહિત દેશની તમામ કંપનીઓના મસાલા ઉત્પાદન એકમોમાંથી સેમ્પલ લેવામાં આવશે.
ભારતમાં ખાદ્યપદાર્થોમાં ઈથિલિન ઓક્સાઈડના ઉપયોગ પર પ્રતિબંધ છે, તેથી જો તેમાં હાનિકારક તત્વો રહેલા હશે તો તેમની સામે પણ સખ્ત કાર્યવાહી કરાશે. ભારત સરકારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના સ્પાઈસ બોર્ડને જાગરૂકતા ફેલાવવા અપીલ કરી છે કે ઉત્પાદનોમાં કોઈ હાનિકારક ઘટકો ઉમેરવામાં ન આવે.
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં 12મી પછી સીધા ત્રણ વર્ષનો LLB કોર્સ કરાવવાની માગ પર આજે સુનાવણી
આ પણ વાંચો:હજુ સુધી જીવે છે દાઉદનો સૌથી મોટો દુશ્મન! નવો ફોટો સામે આવ્યો