@કામેશ ચોકસી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ
– તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી કરશે વિરોધ, ટિકૈતનાં સમર્થનમાં વસાવાનો હુંકાર
BTP નેતા છોટુ વસાવાનું ટિકૈતને સમર્થન
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ખેડૂત આંદોલનનાં વળતા પાણી જોવા મળી રહ્યાં છે.ખેડૂતોનાં આગેવાન નેતા રાકેશ ટિકૈતનાં સમર્થનમાં હવે રાજકીય પક્ષનાં નેતા આવી રહ્યાં છે ત્યારે મોટી ખબર ગુજરાતનાં ભરૂચથી સામે આવી રહી છે. ભારતીય ટ્રાઇબલ પક્ષનાં નેતા છોટુભાઇ વસાવા હવે ખેડૂત આંદોલનનાં નેતા રાકેશ ટિકૈતનાં સમર્થનમાં આવ્યા છે. છોટુભાઇ વસાવાએ ખેડૂત આગેવાન નેતા રાકેશ ટિકૈતને સમર્થન જાહેર કર્યુ છે. જેને લઇને હવે નવો વિવાદ વકરે તેવી શકયતા છે.
છોટુ વસાવાની સરકારને ચેતવણી
ભરૂચ ઝગડિયાનાં BTPનાં ધારાસભ્ય છોટુભાઇ વસાવાએ સરકારને ચેતવણી આપતા ટ્વિટ કર્યુ છે કે જો કિસાનોનાં મસીહા મહેન્દ્રસિંહ ટિકૈતનાં પુત્ર રાકેશ ટિકૈતને કોઇપણ નુકસાન પહોંચ્યું છે તો સમગ્ર આદિવાસી સમાજ રસ્તા પર ઉતરીને વિરોધ કરશે – આ સરકારને ચેતવણી છે. ટ્રેકટર આંદોલન ગમે ત્યારે પણ ગુજરાતમાં શરૂ થઇ શકે છે.
તો આદિવાસી સમાજ કરશે વિરોધ
આદિવાસી સમાજનાં નેતા છોટુભાઇ વસાવાએ ગર્ભિત ચિમકી આપતા હુંકાર કર્યો છે કે રાકેશ ટિકૈતને કંઇ થશે તો આદીવાસીઓ રસ્તા પર ઉતરશે અને ગુજરાતમાં આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.સમગ્ર આદિવાસી સમાજ ખેડૂતપુત્રની સાથે હોવાની ચિમકી ઉચ્ચારાઇ છે.મહત્વપૂર્ણ છે કે હાલમાં જ ભારતીય કિસાન યુનિયનનાં નેતા રાકેશ ટિકૈતની આગેવાનીમાં દિલ્હીમાં ખેડૂતો છેલ્લાં બે મહિનાથી આંદોલનનાં માર્ગે આગળ વધી રહ્યાં છે પણ હાલમાં જ યૂપી સરકારે તેમને હટાવવાનાં પ્રયાસો કરતાં આંદોલન જાણે પુરુ થવાની આશા દેખાઇ પરંતુ આખરે યોગી સરકારની મનની મનમાં જ રહી ગઇ અને ગણતરીનાં કલાકોમાં જ ગાઝીપુરમાં આખી બાજી પલટાઇ જતાં રાત્રે ચક્કાજામનાં દ્રશ્યો જોવા મળ્યા.જેને લઇને હવે સમગ્ર આંદોલન રાજકીય વેગ પકડી રહ્યું હોય તેમ હવે BTPનાં ધારાસભ્ય છોટુ વસાવાએ રાકેશ ટિકૈતને સમર્થન આપી સરકારને ગર્ભિત ચિમકી આપતા આગામી સમયમાં ગુજરાતમાં પ્રત્યાઘાત પડે તેવી પણ શકયતા વ્યકત કરાઇ છે.