ઊંઝા,
લોકસભા ચૂંટણી અગાઉ ઉંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરતા ભાજપની છાવણીમાં દોડધામ મચી હતી.ઊંઝા APMCમાં તેમની મંડળીઓ રદ કરાતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે ભાજપ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી.
નારાયણ પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ સીધો આરોપ મૂકતા કહ્યું કે આશા પટેલને ભાજપમાં લાવીને તેઓ મારી રાજકીય કરિયર ખતમ કરવા ઈચ્છે છે.નારાયણ પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી વિરુદ્ધ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જીતુ વાઘાણી અને કેસી પટેલ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, કે.સી પટેલના વેવાઈને ઉંઝા એપીએમસીના ચેરમેન બનાવવા જીતુ વાઘાણીએ મારી સાથે અન્યાય કર્યો છે. સાથે જ કહ્યું હતું કે મુખ્યમંત્રીના વચન પછી પણ મારી મંડળીઓ રદ કરાઈ છે.
આ દરમિયાન શંકરસિંહ વાઘેલા બે કલાક સુધી નારાયણ પટેલના ઘર પર રોકાયા હતા. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, કાકા સાથે પારિવારીક સંબંધોને કારણે હું અહી આવ્યો છું. હિન્દુસ્તાનમાં પહેલી વખત સહકારી માળખામાં સરકારે એક તરફી નિર્ણય લઇને માર્કેટયાર્ડમાંથી કાકાની મંડળીઓને કાઢી નાંખે છે. કાકા સાથે જે થયું તે આઘાતરૂપ છે. અમારી વચ્ચે 40-50 વર્ષથી પારિવારિક સંબંધો છે. એ નિસબતે હું તેમને મળવા ગયો હતો.