કચ્છ જિલ્લાના છસરા ગામે જુની અદાવતને કારણે થયેલ જુથ અથડામણ બાદ હાલ પરિસ્થિતિ સંપુર્ણ નિયંત્રણ હેઠળ છે. પોલીસ વિભાગની ત્વરિત કામગીરી અને પગલાને પરિણામે ઘટનાના પ્રત્યાધાતો જિલ્લામાં કયાંય પડયા નથી. રેન્જી આઇ.જી. દ્વારા બન્ને સમાજના અગ્રણિઓ સાથે પરામર્શ અને સમજાવટને કારણે મૃતકોના અંતિમ સંસ્કારની વિધિ પુર્ણ થઇ છે અને કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે કાયદો અને વ્યવસ્થાના એડી. ડી.જી.પી. સંજય શ્રીવાસ્તવને ભૂજ જવા રવાના કરાયા છે.
ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ કે રાજયમાં સુલેહ-શાંતિ જળવાઇ રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આજે રાજય મંત્રી મંડળની મળેલી બેઠકમાં પણ મુખ્યમંત્રીએ ઘટનાને અત્યંત સંવેદનાથી લઇને છસરા ગામે અને કચ્છ જિલ્લામાં સંપુર્ણ શાંતિ જળવાઇ રહે તે માટે સત્વરે પગલા લેવા સુચનાઓ આપી છે. કચ્છ જિલ્લામાં સુલેહ-શાંતિ જળવાઇ રહે તે માટે મુંદ્દા અને અંજારમાં એક-એક એસ.આર.પી.ની કંપની તૈનાત કરાઇ છે.
ઉપરાંત ગાંધીધામ અને ભચાઉ ખાતે DY.S.P.ની નિગરાની હેઠળ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યુ કે છસરા ગામે બનેલ બનાવ આકસ્મિક અંદરો અંદરની ચૂંટણી અદાવત અને સ્થાનિક વિકાસ કામોને લીધે બન્યો હોઇ બન્ને પક્ષોએ ફરીયાદ લેવાઇ છે. જરૂરી પુરાવાઓ એકત્રિત કરાયા છે અને પુરાવાઓ ચકાસણી માટે FSLમાં મોકલી દેવાયા છે. ઘટના બન્યાબાદ તુરત જ જિલ્લા પોલીસ અધિક્ષક અને રેન્જ આઇ.જી. ઘટના સ્થળે પંહોચી ગયા હતા અને વધારાની પોલીસ કુમક મંગાવીને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ઘટનાને કાબુમાં લેવાઇ હતી. અને રેન્જ આઇ.જી. દ્વારા બન્ને સમાજના લોકોને સહકાર આપવા અપિલ પણ કરાઇ છે.
જણાવી દઈએ કે, છસરા ગામે થયેલ જીવલેણ હુમલામાં આહિર સમાજના ચાર વ્યક્તિઓના મોત નિપજયા છે અને બે વ્યકિતઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. તેજ રીતે સામે પક્ષે કુંભાર સમાજના બે વ્યકિતિઓના મોત નિપજ્યા છે અને એક વ્યકિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ મર્ડર વીથ રાયોટીંગની ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલીક ધોરણે છસરા ગામે પંહોચી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ હતો. પોલીસ વિભાગની સર્તકતાને કારણે આ ઘટનાના પડધા અન્ય જગ્યાએ જિલ્લામાં કયાંય પડ્યા નથી. સમગ્ર ઘટનાની દેખરેખ સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ડી.બી. વાઘેલા કરી રહ્યા છે.