સુરત,
રાજદ્રોહ અને હત્યાના પ્રયાસોમાં સજા ભોગવી રહેલા પાસ આંદોલનના નેતા અલ્પેશ કથેરિયા રવિવારે જેલમાંથી બહાર આવ્યા છે. સુરતની લાજપોર જેલમાં બંધ અલ્પેશ અંદાજે ૩ મહિનાથી વધુ સમય બાદ જેલમુક્તિ થઇ છે.
અલ્પેશ કથેરિયાના લાજપોર જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે પાસ કન્વીનર હાર્દિક પટેલ, અલ્પેશ કથેરિયાના પરિવારજનોની સાથે સાથે હજારોની સંખ્યામાં પાટીદાર લોકો ઉમટી પડ્યા હતા.
અલ્પેશના જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓના સ્વાગતમાં એક સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનું આયોજન સુરત રીંગ રોડ, લાલ દરવાજા, ખોડીયાર માતાના મંદિર, વરાછા મિનિ બજાર, માનગઢ સરદાર ચોક, ઉધના દરવાજાથી વરાછા સુધી કરવામાં આવ્યું છે.
બીજી બાજુ આ સંકલ્પ યાત્રાને લઈ સુરક્ષા અને કાયદાની વ્યવસ્થાને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫માં કરવામાં આવેલા પાટીદાર આંદોલનનો અલ્પેશ કથેરિયા સૌથી મોટો ચહેરો હતો. જો કે ત્યારબાદ તેઓ પાર રાજદ્રોહ અને હત્યા કરવાના પ્રયાસનો ગુનો લાગી ચુક્યો છે.