મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આગામી 31 ઓક્ટોબર, સરદાર પટેલ જ્યંતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રને અર્પણ થનારી સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમા, વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પૂર્વે સરદાર સાહેબનો એકતા અને અખંડિતતાનો સંદેશ ગામેગામ ઘરે ઘરે ગુંજતો કરવા બે તબક્કામાં યોજાનારી એકતા યાત્રાની વેબસાઈ ektayatra.com નું આજે લોન્ચિંગ કર્યું હતું.
એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન દ્રષ્ટા લોહ પુરુષ સરદાર સાહેબના રાષ્ટ્ર માટે સમર્પણ અને યોગદાનને જન જન સુધી ઉજાગર કરવા ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમ્યાન રાજ્યના 10 હજારથી વધુ ગામોમાં આ એકતા યાત્રા વિશેષ રથ સાથે યોજાશે.
સરદાર પટેલના સંદેશને હાલના જનજીવનમાં તેની અગત્યતા સાથે લોકો સુધી પહોંચાડવા, સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતાનો સંદેશ પ્રસરાવવો અને સૌ માં રાષ્ટ્ર પ્રેમની ભાવના વિકસાવવી તેમજ જ્ઞાતિ ધર્મથી પર રહી રાષ્ટ્રવાદ કેળવવાના વિષયો ને આવરી લઇ, આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ એકતા યાત્રા દરમ્યાન સરદાર સાહેબના જીવન, કવન અને યોગદાન વિષયક નિબંધ સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા, ચર્ચા સ્પર્ધાઓ યોજાશે. તેમજ વિશેષ રથ સાથે રાષ્ટ્રીય એકતા અંતર્ગત વિડીયો પણ પ્રદર્શિત કરાશે.