@હિંમતભાઈ ઠક્કર,ભાવનગર
રાજકારણમાં ભલે ગમે તે પક્ષ સત્તા પર હોય પરંતુ તેઓ હંમેશાં જે કાંઈ સારી વસ્તુ હોય તેનો જશ પોતે જ લે છે (ભલે પછી અમૂક કિસ્સામાં લીંબડજશ પણ હોઈ શકે છે) જ્યારે કશુંક ઉલટું થયું હોય તો તરત જ અગાઉના શાસકો પર કે વિરોધ પક્ષ પર પણ દોષનો ટોપલો ઢોળતા અચકાતા નથી. આ બધું અગાઉના શાસકોના કારણે થયું છે. એમ કહીને પોતાની જવાબદારી ખંખેરવાનો ધંધો પહેલા પણ થતો હતો અને અત્યારે પણ થાય છે. નિષ્ણાતોની સલાહ વગર લેવાતા નિર્ણયો અને વિપક્ષે માગણી કરી છે માટે પગલું ન ભરાય તેવું વલણ જવાબદાર છે. ભૂતકાળમાં કોંગ્રેસ સત્તા પરહતી ત્યારે લોકો માટે હાડમારી ઉભી થાય ત્યારે તેની જવાબદારી વિપક્ષ પર ઢોળી દેતી હતી અથવા તો નવા સૂત્રો જેવા કે ગરીબી હટાવો, ૧૦૦ દિવસમાં મોંઘવારી હટાવી દેશું જેવા સૂત્રો આપીને લોકોને પાયાના પ્રશ્નો ભૂલવાડી દેતી હતી તો આજે ભાજપ પણ લગભગ એજ માર્ગે છે. કોઈપણ પ્રશ્ન હોય તો સારી વાતનો જશ પોતાના નામે ચડાવી તેનું જબરદસ્ત માર્કેટીંગ કરે છે. (જાે કે નિષ્ણાતોના મત પ્રમાણે કરેલી કામગીરીના પ્રમાણમાં અનેકગણું માર્કેટીંગ થાય છે) અથવા તો વિવિધ ઉત્સવોની ઉજવણીના ઓઠા હેઠળ આ ખેલ ખેલાય છે જ્યારે શાસક પક્ષના સમર્થકો લોકોની યાતનાઓ પર ધર્મ કે રાષ્ટ્રવાદનું ગીલેટ ચડાવવા સુધી પહોંચી જઈને ઘણીવાર ‘ચા કરતાં કીટલી ગરમ’ બે કહેવતને યથાર્થ ઠરાવતા પણ નજરે પડતાં હોય છે.
મધ્યપ્રદેશમાં ભાજપના મહામંત્રી વિશ્વાસ સારંગે મોંઘવારી અંગે એવું નિવેદન કર્યું છે કે આઝાદી બાદ દેશના અર્થતંત્રની માઠી દશા બેસાડવાનું કામ નહેરૂ પરિવારે કર્યું છે. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ જે પ્રવચન કર્યું તેમાં તેમણે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નહોતો. નહેરૂજી પછીના વડાપ્રધાનોએ જે નીતિ અપનાવી તેના કારણે દેશની આ સ્થિતિ છે.
આ અંગે કોંગ્રેસના નેતાઓએ એવો જવાબ પણ આપ્યો છે કે ૧૯૪૭માં અંગ્રેજાે ખાલી તિજાેરી મૂકીને ગયા હતાં. ભાગલા પાડો અને રાજ પાડોની નીતિ મૂકીને ગયા હતાં. ભાકરા નાંગલ સહિતના મોટા ડેમ તે જ વખતમાં બંધાયા છે. અત્યારે ભાજપના નેતાઓ જે તે જશ ખાટતા થાકતા નથી તે નર્મદા ડેમનો શિલાન્યાસ પણ નહેરૂના સમયમાં થયો હતો. આ વાત કેમ ભલાઈ જાય છે ? શાસ્ત્રીજીએ અમેરિકાના ઘઉંની ઐસી કી તૈસી કરીને ભારતના અન્ના મોરચે સ્વાવલંબી બનાવવા માટે ડગ માંડ્યા હતા અને સ્વામિનાથન પંચના માધ્યમથી દેશને હરિયાળી ક્રાંતિના માર્ગે મૂકવાનું કામ ઈંદિરા ગાંધીએ કર્યું હતું. શ્વેતક્રાંતિ પણ કોંગ્રેસના શાસનકાળમાં જ શરૂ થઈ હતી. પાકિસ્તાનને જિંદગીભર યાદ રહે તેવો પાઠ શાસ્ત્રીજી અને ઈન્દિરા ગાંધીએ ભણાવ્યો હતો. જ્યારે અત્યારે પીઓકેમાં પાકિસ્તાન અનેક છમકલા કરતું હોવા છતાં તેને પાઠ ભણાવવાની માત્ર વાતો થાય છે, કામ થતું નથી.
જ્યારે મોંઘવારી અને આવકની વાત કરવામાં આવે તો ૧૯૪૭થી ૧૯૬૪માં ભાવ વધવાની ટકાવારી ૧૦ થી ૧૨ ટકા હતી. ૧૯૬૫થી ૧૯૬૭ માં ૮ ટકા હતી. ૧૯૬૭થી ૧૯૭૭ સુધી ૧૫ ટકા હતી અને ૧૯૭૭થી ૧૯૮૦ સુધી ૧૭ ટકા અને ૧૯૮૦થી ૧૯૯૦ સુધી ૧૫ ટકા આસપાસ હતી. ૧૯૯૧થી ૧૯૯૬ના વર્ષમાં ભાવો લગભગ સ્થિર જેવા હતાં. ૧૯૯૬થી ૨૦૦૪ સુધી આ ગતિ ૧૭ ટકા આસપાસ રહી હતી. પરંતુ ૨૦૧૪ થી ૨૦૨૧ સુધીમાં જીવનજરૂરી ચીજાે સહિત દરેક ચીજાેના ભાવ ૩૦ થી ૩૫ ટકા વધ્યા છે. ૨૦૧૪માં હોટલોમાં ૩૫ થી ૬૦ રૂપિયાના ભાવે થાળી મળતી હતી આજે નાની હોટલ-ડાઈનીંગ હોલમાં પણ ૬૦ રૂપિયાના ભાવે ફીક્સ થાળી મળે છે. બાકી અનલીમીટેડ થાળી કોઈ સ્થળે રૂા. ૧૦૦થી ઓછા ભાવે મળતી નથી. મોટા ડાઈનીંગ હોલમાં તો આ ભાવ રૂ. ૩૦૦ને વટાવી જાય છે. જ્યારે સરકારે પોતે સંસદમાં એક વાત સ્વીકારી છે કે ખાદ્યતેલના ભવોમાં છેલ્લા છ માસના સમયગાળામાં જ ૫૦ ટકા કરતાં વધુ પ્રમાણમાં વધારો થયો છે. નિષ્ણાતો આગળ વધીને એમ પણ કહે છે કે ૨૦૧૬માં કઠોળ અને દાળના ભાવ ૧૫૦થી ૨૦૦ની સપાટીને આંબી ગયા હતાં તેવું ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી.
આવકની વાત કરીએ તો પણ રાજકીય પક્ષો, સરકારી અધિકારીઓ, સરકારી કર્મચારીઓ સિવાય કોઈની આવક વધી નથી. કોરોનાકાળમાં દેશના ૫૦ ટકા કરતાં વધુ લોકોની આવક ઘટી છે અને સાથોસાથ જીવનજરૂરી ચીજાેના ભાવ ૩૦ ટકા વધ્યા છે. આ પણ વાસ્તવિકતા છે.
૧૯૭૧માં જેમ ઈંદિરા ગાંધીએ ગરીબી હટાવોનો વાયદો આપ્યો હતો પાળી શક્યા નહોતો. ૨૦૦૯માં મનમોહનસિંહ પણ ૧૦૦ દિવસમાં મોંઘવારી હટાવવાનું વચન પાળી શક્યા નહોતા તે જ રીતે ૨૦૧૪માં સત્તા પર આવી મોંઘવારી, ભ્રષ્ટાચાર નાબૂદ કરી ‘અચ્છે દિન’ લાવવાનો જે વાયદો અપાયેલો તે ભાજપ પણ પાળી શકી નથી. ૨૦૧૪ થી ૨૦૨૧ સુધીમાં લોકોની આવક મોટાભાગે તો વધવાને બદલે ઘટી જ છે તો મોંઘવારી જેટ ઝડપે વધી છે.
અન્ય એક નિષ્ણાત એમ પણ કહે છે કે ૨૦૦૪થી ૨૦૧૪ સુધીમાં કોંગ્રેસ ભાવો ઘટાડી ન શકી માટે તેને લોકોએ ધોળે દિવસે તારા દેખાય તે રીતે સત્તા પરથી હટાવી દીધી. જ્યારે ૨૦૧૪ બાદ જે મોંઘવારી વધી છે તે ભૂતકાળના અગાઉના ૬૭ વર્ષમાં ક્યારેય નહોતી વધી. કોંગ્રેસને તો મોંઘવારી, ભ્રષ્ટાચાર, કાળા ધન સબબ પાઠ ભણાવ્યો જ છે. તો પછી હાલનો શાસક પક્ષ તેના માર્ગે કેમ જાય છે ? ભૂતકાળમાં એટલે કે ૨૦૧૨માં પેટ્રોલ કે ડિઝલના ભાવમાં ત્રણ મહિને એક રૂપિયાનો વધારો થાય અને દેશવ્યાપી કાર્યક્રમો આપનારા નેતાઓ આજે સત્તા પર છે. તેવે સમયે માત્ર ૪૦-૫૦ દિવસના ગાળામાં પેટ્રોલ ડિઝલના ભાવ ૧૧ થી ૧૨ રૂપિયા વધે છે છતાં કશું બોલતા નથી. ઉલટાનો બચાવ કરે છે. એક મંત્રી તો પેટ્રોલ-ડિઝલ પરના વધારાના વેરાની આવક મફત વેકસીન આપવામાં વાપરીએ છીએ તેવું કહેતા પણ અચકાતા નથી.
રાજકારણીઓ પછી ભલે તે કોંગ્રેસવાળા હોય તેમણે પોતાની ભૂલનું ઠીકરૂં બીજા પર ઢોળવાને બદલે ભૂલ સ્વીકારી તેને સુદારવાનો ધંધો કરવો પડશે. માત્ર રાષ્ટ્રવાદના ગાણા ગાવા કે ગવરાવવાથી અથવા તો અમે રામમંદિર બનાવી રહ્યા છીએ તેવી જાેર-શોરથી વાતો કરવાથી કાંઈ લોકોની ભૂખ મીટાવી નહિ શકાય. ભગવાન રામના શાસનની વાત થતી હોય ત્યારે તે જમાનામાં લોકોમાં ભય નહોતો, ભૂખ સંતોષાતી હતી અને લોકોની વાત પણ સંભળાતી હતી. જ્યારે આજે શું સ્થિતિ છે તેમ કહી એક નિષ્ણાંત કહે છે કે મોંઘવારી અંગે ભૂતકાળની સરકારો પર દોષનું ઠીકરૂં ફોડવાને બદલે કમ સે કમ ભાવો ૨૦૨૪ સુધી સ્થિર રહે તો પણ વર્તમાન સરકારની એક સિદ્ધી જ ગણાશે.