નવી દિલ્હી,
લાંચકાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ના ટોચના ઓફિસર આલોક વર્માને હજી સુધી કોઈ રાહત મળી નથી, ત્યારે આ વચ્ચે તેઓ અંગે વધુ એક સ્ફોટક ખુલાસો થયો છે.
આ ખુલાસાથી રજા પર ઉતારી દેવામાં આવેલા આલોક વર્માને વધુ એક ઝટકો લાગી શકે છે.
હકીકતમાં, શુક્રવારે હરિયાણામાં જમીન આવંટનના એક મામલમાં ખેડૂતોના વકીલ જસબીર સિંહ માલિક દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે, જેમાં CBIના ટોચના ઓફિસર દ્વારા તપાસ બંધ કરવા માટે ૩૬ કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ છે.
ખેડૂતોના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની આલોક વર્મા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવનારી કેબિનેટ સચિવ દ્વારા કરાયેલી ફરિયાદનો હવાલો આપીને આ ખુલાસો કરાયો છે.
શું છે આ મામલો ?
આ મામલો હરિયાણાના ગુરુગ્રામના સેક્ટર ૫૮ થી ૬૭માં આવનારા આઠ ગામ બાદશાહપુર, બેહરામપુર, નાગલી ઉમારપુરા, તિગરા, ઉલ્લાવાસ, ખાદરપુર, ઘાટા અને મડવાસની ૧૪૦૦ એકર જમીનનો છે.
આ જમીનને વર્ષ ૨૦૦૯-૨૦૧૦માં અધિકૃત કરવામાં આવી હતી અને ત્યારબાદ હરિયાણા સરકાર દ્વારા આ કુલ જમીનમાંથી ૧૩૧૩ એકર જમીન છોડવાનો મામલો છે.
જો કે ત્યારબાદ આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગત વર્ષે નવેમ્બર મહિનામાં જમીન છોડી દેવાના કેસની તપાસ CBIને આપવાનો આદેશ કર્યો હતો, જેથી સામે આવી શકે કે, આ જમીન કૌભાંડમાં રૂપિયાની લેણદેણ કે બિલ્ડરોની કોઈ મિલીભગત છે”.