નવી દિલ્હી,
દેશની સૌથી મોટી સરકારી બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેન્કને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશ છોડી ભાગી ચુક્યા છે, ત્યારે હવે આ કેસની તપાસ કરી રહેલી CBI દ્વારા બંને કૌભાંડી વિરુધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવા માટે વિનંતી કરી છે.
CBI દ્વારા ઇન્ટરપોલ સમક્ષ આ બંને કૌભાંડીઓ વિરુધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવા માટે વિનંતી કરાઈ છે. જો કે આ પહેલા ભારત સરકાર દ્વારા ભાગેડુ નીરવ મોદીનો પાસપોર્ટ રદ્દ કરી દેવામાં આવ્યો છે તેમજ તેઓ વિરુધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.
જો કે આ વચ્ચે ન્યુઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, “ઇન્વેસ્ટીગેશન એજન્સી CBI પાસે નીરવ મોદી ક્યાં છે તે અંગે કોઈ પણ જાણકરી નથી, જયારે આ કૌભાંડી અંગે સ્પષ્ટ જાણકારી મળશે ત્યારે આગળની કાર્યવાહી કરવામાં આવશે”. જો કે હમણાં બંને કૌભાંડીઓ વિરુધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવા માટે પ્રોસેસ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, આ પહેલા બ્રિટનના એક ટોચના અખબારે દાવો કર્યો હતો કે, PNB સ્કેમના મુખ્ય કૌભાંડી નીરવ મોદીએ રાજકીય સતામણીની હવાલો આપતા બ્રિટનમાં રાજકીય આશ્રય માંગ્યો છે.
બીજી બાજુ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફાઈનન્શિયલ ટાઈમ્સને જણાવ્યું, ભારત સરકાર પોતે આ માહિતી અંગે રાહ જોઈ રહી છે. દેશની લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા નીરવ મોદીને પરત લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
સેન્ટ્રલ એજન્સી દ્વારા PNB સ્કેમના ૨૫ લોકો વિરુધ દાખલ કરાયા છે કેસ
પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૩૦૦૦ કરોડ રૂપિયાના ગોટાળા બાદ પોલીસ તેમજ સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા ૨૫ લોકો સામે ચાર્જ ફાઈલ કરાયા છે. જેમાં મુખ્ય કૌભાંડી નીરવ મોદી અને મેહુલ ચોકસી, PNB બેન્કના પૂર્વ ચીફ ઉષા અનંત સુબ્રમણ્યમ, બે બેન્કના ડાયરેકટર તેમજ નીરવ મોદીની કંપનીના ત્રણ લોકો શામેલ છે