જૈશ-એ-મોહમ્મદના લગભગ ૧૨ આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘુસી ગયા છે અને ખુબ મોટો હુમલો કરવાની યોજના પાર પાડી શકે છે. એક સુરક્ષા અધિકારીએ જાણકારી આપી છે કે સંભવિત ત્રાસવાદી હુમલાને પગલે રાજ્ય અને રાજધાની દિલ્હીમાં સુરક્ષા દળો દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓ જુથમાં વહેચાઈ ગયા છે અને ગુપ્ત સૂચનો મુજબ શનિવારે મોટા સ્તર પર હુમલો કરવાની યોજના બનાવી શકે છે. જણાવી દઈએ કે શનિવારે રમઝાનનો ૧૭ મો દિવસ છે, અને બદ્રના જંગની વર્ષગાંઠ છે. બદ્રનો જંગ ઇસ્લામની પહેલી લડાઈ છે જે માર્ચ, ઈસ્વીસન ૬૨૪ માં લડવામા આવી હતી.
સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રહેવા અને જમ્મુ કાશ્મીર તથા દિલ્હીમાં સંવેદનશીલ જગ્યાઓ પર સતર્કતા રાખવા માટે કહેવામાં આવ્યું છે.
આતંકવાદીઓએ દક્ષીણ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોના વાહન પર હુમલો કર્યો હતો. સુરક્ષા દળોએ પુલવામામાં IED ના ત્રણ બેગ પણ ઝડપી પાડ્યા હતા.
ગયા વર્ષે પણ આતંકવાદીઓએ બદ્રની જંગની વર્ષગાંઠ પર એક પછી એક કેટલાક હુમલાઓ કર્યા હતા. ત્યારે પણ આતંક્વાદી જૂથ જૈશે જ બધા હુમલાની જવાબદારી લીધી હતી.
આ પહેલા આ અઠવાડિયાની શરૂઆતમાં આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જીલ્લામાં સેનાના એક વાહન પર IED બ્લાસ્ટ કર્યો હતો જેના કારણે ત્રણ સૈનિકો ઘાયલ થઇ ગયા હતા.