ઇમરાન ખાન ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ વાર્તા શરુ કરવા માટે લખવામાં આવેલી પોતાની ચિઠ્ઠી પર ભારતની પ્રતિક્રિયાથી ખુબ નારાજ છે. ભારતની પ્રતિક્રિયાથી ગુસ્સે ભરાયેલા ઇમરાને ટ્વિટર પર ભડાસ કાઢી છે. પાકિસ્તાની પીએમએ નામ લીધા વગર પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્યું છે.
ઇમરાન ખાને ટ્વિટ કર્યું કે શાંતિ સ્થાપવા માટે શાંતિ વાર્તાની શરૂઆતની મારી પહેલ પર ભારતના અહંકારી અને નકારાત્મક જવાબથી ખુબ નિરાશ છું. જોકે, હું મારી આખી જિંદગીમાં એવા લોકોને મળ્યો છું, જેઓ મોટી ઓફિસોમાં ઊંચા હોદ્દા પર બેઠા છે, પરંતુ એમની પાસે દૂરદર્શી વિચારનો અભાવ છે.
જણાવી દઈએ કે, ઇમરાન ખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને શાંતિ વાર્તા શરુ કરવા અને સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલી પહેલા વિદેશ મંત્રીઓની મુલાકાતનો પ્રસ્તાવ રાખ્યો હતો. આ પ્રસ્તાવના જવાબમાં ભારત તરફથી ઉત્સાહજનક પ્રતિક્રિયા મળી નહતી. સીમા પારથી થઇ રહેલા આતંકી હુમલાઓ અને હાલમાં બીએસએફ જવાનના શબ સાથે કરવામાં આવેલી બર્બરતાને લઈને ભારતે પાકિસ્તાનની કઠોર નિંદા કરી છે.
જણાવી દઈએ કે, ઇમરાન ખાને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદ પર વાત કરવા તૈયાર છે. એમણે પત્રમાં લખ્યું હતું કે, વ્યાપાર, જનતાનો જનતાથી સંપર્ક, ધાર્મિક યાત્રાઓ અને માનવતા કેટલાક એવા મુદ્દા છે જેના પર ચર્ચા માટે અમે પુરી રીતે તૈયાર છીએ. ભારત અને પાકિસ્તાન બંને શાંતિની ઈચ્છા રાખે છે, અને આના માટે હું વિદેશ મંત્રીઓની વાર્તા માટેનો પ્રસ્તાવ રાખું છું.