કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને ઓમિક્રોનની આશંકાને પગલે ગુજરાત સરકારે અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિ કરફ્યુ યથાવત રાખવા નિર્ણય કર્યો છે. આઠ મહાનગરપાલિકામાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે. રાત્રિ કરફ્યૂનો સમય રાત્રિના એકથી સવારે પાંચ વાગ્યા સુધી યથાવત રહેશે.
રાજ્યના આઠ મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે. લગ્ન સમારંભની સીઝન ચાલી રહી છે ત્યારે લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ આપવામાં આવી છે પરંતુ લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત્ કરવામાં આવી છે.
કોરોનાને પગલે રાજ્ય સરકારે અમદાવાદ સહિતના મોટા શહેરોમાં રાત્રિ કરફયૂ સહિતના પ્રતિબંધો લાદ્યા છે. 30મી નવેમ્બરે રાત્રિ કરફ્યૂની સમય અવધિ પૂર્ણ થઇ રહી છે જેના પગલે રાજ્યના ગૃહ વિભાગે આ સમય અવધિને લંબાવી દીધી છે.
અગાઉ નવરાત્રી પહેલા લગ્ન પ્રસંગોમાં 400 વ્યક્તિની છૂટછાટ આપવામાં આવી હતી, જે યથાવત રાખવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારી દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય એ હિતાવહ રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં 100 વ્યક્તિની મર્યાદા યથાવત રહેશે.
રાજ્યમાં COVID-19 સંક્રમણની બાબતને ધ્યાને લેતાં સમગ્ર રાજ્ય માટે ગુજરાત સરકારની માર્ગદર્શિકા.#StaySafeStayHealthy pic.twitter.com/o1EhEC37Jp
— Harsh Sanghavi (@sanghaviharsh) November 30, 2021
કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ ગાઈડલાઈનમાં વધારો કર્યો
દુનિયાના અનેક દેશોમાં નવા વેરિયન્ટનાં કારણે પ્રતિબંધો વધી રહ્યા છે. ત્યારે ભારતમા પણ કોરોના વાયરસને લઈને હાલમાં લાગુ ગાઈડલાઇનને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 30 નવેમ્બરનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યા છે જેમા કોરોના વાયરસથી બચવા માટે 21મી સપ્ટેમ્બરથી લાગુ એડવાઇઝરીને જ 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે તેમ જણાવવામાં આવ્યું છે. આ સાથે જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સને લઈને કડકાઇ રાખવા માટે સૂચના આપવામાં આવી છે.