Surat News: સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આજે કોંગ્રેસની શિસ્ત સમિતિએ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. એવામાં નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા બાદ હાલ નિલેશ કુંભાણીનો એક વીડિયો સામે આવ્યો છે.
સુરતમાંથી ઉમેદવારી રદ થયા બાદ કોંગ્રેસના નિલેશ કુંભાણી ગાયબ છે. આ અંગે કોંગ્રેસમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો હતો. આખરે કોંગ્રેસે કુંભાણીને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે અચાનક નિલેશ કુંભાણી સસ્પેન્ડ થતાની સાથે જ સામે આવ્યા છે. જેમાં તેમણે કોંગ્રેસના સૈનિક હોવાની વાત કરી છે અને કોંગ્રેસના કેટલાક લોકો પર આડકતરી રીતે આરોપ પણ લગાવ્યા છે.
નમસ્કાર હું મોવડી મંડળના સંપર્કમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ જવા નીકળીશ. મારા સગા અને સંબંધીઓને મેં કીધું હતું કે, કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે. આપણે કંઈ ડરવાની જરૂર નથી. બધાના સાથ સહકાર લઈ પિટિશન દાખલ કરવા હું અમદાવાદ રવાના થયો ત્યારે કોના ઇશારે કોંગ્રેસના કાર્યકરોએ મારા ઘરે આવી મને પરત ફરવા મજબૂર કર્યો. જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાયા હતા. કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને અહીંના નેતાઓ રથમાં પણ બેસવા તૈયાર નહોતા અને મારી સાથે જોડાતા નહોતા. કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે, 20 તારીખ પહેલા બૂથ પર કોણ સાથે બેસવાનું છે. તેના નામ અને નંબર મોકલો, ત્યારે અહીં જે હોદ્દેદારો હતા તેને કહેતા હતા કે આપણે બૂથની વિગતો આપવાની છે, ત્યારે એકપણ આગેવાનોએ બૂથ આપ્યા નહોતા અને કાર્યકરોને પણ ના પાડતા હતા કે બૂથ આપતા નહીં.
આ ઉપરાંત તેમણે કહ્યું, જે લોકો વિરોધ કરી રહ્યા છે તે પહેલાથી જ ભાજપમાં બેસી ગયા હતા. આ લોકો મારા ડોર ટુ ડોર અને સભામાં પણ હાજર રહ્યા નહોતા. મને એકલો છોડી દેવામાં આવ્યો હતો. પ્રચાર પ્રસાર પણ હું એકલો કરી રહ્યો હતો. વર્ષ 2017માં પણ મને ભારતીય જનતા પાર્ટી તરફથી ઓફર હતી અને ભાજપમાં બેસી જવા માટે કહ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ તરફથી મને પ્રચાર પ્રસાર ધીમું રાખવા જણાવ્યું હતું. કેટલાક કાર્યકર્તાઓએ પણ 2700 જેટલા મત મને મળી રહ્યા હતા પરંતુ તેઓએ આ કાર્ય કર્યું ન હતું, ત્યારે મારી સાથી મિત્રોએ ભાજપની આ ઓફર સ્વીકારી હતી. મોટા વરાછા ખાતે પરેશ ધાનાણીની સભા પહેલા કોંગ્રેસના બે આગેવાનો ભાજપમાં બેસી ગયા હતા.
સૌથી અગત્યની વાત છે કે જે ટેકેદારોની સહીને લઈને વિવાદ સર્જાયા બાદ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓનું અપહરણ કરવામાં આવ્યું છે. પરંતુ આ વચ્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નિલેશ કુંભાણીના ટેકેદારોનું નિવેદન લેવાયું છે. ચારેય ટેકેદારો નિવેદન આપ્યા બાદ ગુજરાત છોડીને ગાયબ થઈ ગયા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે તેમનું નિવેદન વલસાડમાં લીધું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારામાંથી કોઈપણનું અપહરણ થયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં નિલેશ કુંભાણી સામેનો વિરોધ યથાવત છે. શહેરની સિટી બસો પર પણ નિલેશ કુંભાણી વિરુદ્ધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ઉપરાંત તેઓ હજુ પણ ગાયબ છે.
આ પણ વાંચો:નિલેશના નખરા બાદ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ, ગમે ત્યારે કરશે કેસરિયા…..
આ પણ વાંચો:મતદાન જાગૃતિની અનોખી પહેલ, મતદાન કરવા બદલ મતદારોને મળશે સારું ઈનામ, જાણો વિગત અને કરો મતદાન
આ પણ વાંચો:છૂટાછેડા માંગનારા પતિને પત્નીનું બોસ સાથે ફિલ્મ જોવા જવું ન ગમ્યું, રસ્તા પર બોસ-પત્નીને માર્યા
આ પણ વાંચો:કાંકરીયા તળાવમાં બંધ થયેલ વોટર એક્ટિવિટી આજથી શરૂ, 1 જ દિવસમાં બદલાયો નિર્ણય, જાણો કેમ