કાંકરીયા તળાવમાં હાઈકોર્ટના આદેશ બાદ તમામ વોટર એક્ટિવિટી બંધ કરવામાં આવી હતી. પરંતુ 24 કલાકની કાંકરીયા તળાવમાં બોટિંગની શરૂઆત કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. વડોદરા હરણીકાંડના બનાવના પગલે હાઈકોર્ટે તકેદારીના ભાગરૂપે બોટિંગ એક્ટિવિટી બંધ કરવાનો નિર્ણય આપ્યો હતો અને જ્યાં સુધી નવો કરાર ના થાય ત્યાં સુધી બોટિંગ સુવિધા બંધ કરી હતી. પરંતુ નવો કરાર થતા જ કાંકરીયા તળાવમાં તમામ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીની આજથી જ શરૂઆત થઈ ગઈ છે.
મહત્વનું છે કે અત્યારે શાળાઓમાં રજાનો માહોલ છે. ત્યારે શહેરના લોકપ્રિય કાંકરીયા સ્થાન પર મુલાકાતીઓને ભારે ધસારો રહે છે. શાળાની રજાઓમાં બાળકોની મનપસંદ વોટર એક્ટિવિટી બંધ થતા તાત્કાલિક નવા કરાર કરવામાં આવ્યા. જેથી વેકેશનના માહોલમાં કાંકરીયાને નુકસાનીનો સામનો ના કરવો પડે. જણાવી દઈએ કે અમદાવાદમાં ફરવા માટેના પસંદગીના સ્થાનોમાં કાંકરીયાનો સમાવેશ થાય છે. કાંકરીયામાં કુલ 7 પ્રવેશ દ્વાર છે. છતાં પણ પ્રવેશ માટે લાંબી લાઈનો રહે છે. આ બાબતને ધ્યાનમાં રાખી AMCએ મોટો નિર્ણય લીધો છે. કાંકરીયામાં મુલાકાતીઓની સુવિધામાં વધારો કરતા ઓનલાઈન વેબસાઈટ અને મોબાઈલ એપ શરૂ કરી. જેમાં ટિકિટબારીની લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવતા ઓનલાઈન બુકિંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યમાં જ્યાં બોટિંગ એક્ટિવિટિ ચાલતી હોય ત્યાં તમામ સ્થાનો પર નિયમોના પાલનને લઈને સખત કાર્યવાહી કરવામાં આવી હતી. હરણીકાંડ બોટ દુર્ઘટનાને પગલે રાજ્યના તમામ વોટર સ્પોર્ટસ એક્ટિવિટ પર કડક વલણ અપનાવ્યું હતું. હાઈકોર્ટે મૌખિક આદેશ આપતા જણાવ્યું હતું કે જ્યાં સુધી બોટિંગ અને વોટર સ્પોર્ટસ એક્ટિવીટી મામલે નવો કરાર ના થાય ત્યાં સુધી આ એક્ટિવિટી બંધ કરવી. પરંતુ હવે નવો કરાર થઈ જતા જ આજથી જ કાંકરીયા તળાવમાં બોટીંગ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.