Aravalli Meshwo River: અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલા મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડવા કાંઠા વિસ્તારના 15 થી વધુ ગામોના પશુપાલકોએ ભવાનપુર પાસેની સૂકી બની ચુકેલી મેશ્વો નદીમાં રામધૂન બોલાવી અનોખી રીતે માંગણી કરી છે. ઉનાળાના પ્રારંભે મેશ્વો નદી સૂકી બનતા વિસ્તારના કુવા બોરમાં જળસ્તર ઊંડે જતા પશુપાલકો હાલાકી ભોગવી રહયા છે.
અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલા મેશ્વો જળાશય આસપાસના શામળાજી, બહેચરપુરા, ભવાનપુર, રૂદરડી, શામળપુર ખારી મેરાવાડા, ગડાદર, સુનોખ સહિતના 15 થી વધુ મેશ્વો નદી કાંઠાના ગામોમાં ઉનાળાના પ્રારંભે કુવા બોરમાં પાણીના જળસ્તર ઊંડે જતા પશુપાલન માટે પાણીની સમસ્યા ઉભી થઇ છે. ખાસ કરીને ચોમાસા બાદ નદીમાં પાણી સુકાઈ જતા હાલ મેશ્વો નદી સૂકી ભટ્ઠ બની ચુકી છે જેના કારણે કાંઠા વિસ્તારના ગામોમાં કુવા બોરમાં પાણીના જળસ્તર ઊંડે જતા રહયા છે જેથી વિસ્તારના લોકો પશુપાલન માટે પાણીની સમસ્યા ભોગવી રહયા છે ત્યારે તંત્ર દ્વારા મેશ્વો જળાશય માંથી નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે પશુપાલકોએ આજે ભવાનપુર ગામની સૂકી નદીમાં બેસી રામધૂન દ્વારા સરકાર પાસે અનોખી રીતે વિનંતી કરી માંગણી કરી છે.
ખાસ કરીને શામળાજી મેશ્વો નદી કાંઠાના ગામોના લોકો ખેતી અને પશુપાલન ઉપર નિરભર છે તેવામાં ઉનાળામાં પાણીની સમસ્યાને લઇ ખેતી તો થઇ શકે તેમ નથી પરંતુ ઉનાળાના ચાર મહિના આ ખેડૂતો પશુપાલન ઉપર પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે ત્યારે પશુપાલન માટે પણ કુવા બોર માંથી પૂરતું પાણી નહીં મળતા પશુપાલકો પરેશાન બન્યા છે, બીજી તરફ સરકાર દ્વારા આ પશુપાલકોની માગણીને પગલે દર વર્ષે એપ્રિલ મેં મહિનામાં પાણી છોડવામાં પણ આવે છે ત્યારે ઉનાળાના અંતમાં છોડાયેલું પાણી પશુપાલકો માટે ઉપયોગી બની શકતું નથી તેવામાં આ પાણી બે મહિના વહેલું છોડવામાં આવે તેવી માંગ પશુપાલકો કરી રહયા છે. શામળાજી ખાતે આવેલો મેશ્વો જળાશય ગત ચોમાસા દરમિયાન 214.59 મીટરે ઓવર ફ્લો પણ થયો હતો, જેથી ઉનાળાના પ્રારંભે હાલ ડેમની સપાટી 210.61 મીટર છે અને ડેમમાં કુલ પાણીનો જથ્થો 30.088 MCM છે જે પૈકી જીવન જરૂરિયાત જથ્થો પણ 26.925 MCM છે જે પૂરતો છે ત્યારે જળાશય માંથી નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ વિસ્તારના લોકો કરી રહ્યાં છે.
આ પણ વાંચો: NASA/ તાપમાનમાં વધારાને કારણે 48 હજાર વર્ષ જૂનો ‘ઝોમ્બી’ વાયરસ ફરી જીવંત, કોરોના કરતા પણ છે ખતરનાક
આ પણ વાંચો: Gujarat/ AMC તથા AUDA દ્વારા અંદાજે 154 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ
આ પણ વાંચો: Threat/ ખેડૂત નેતા રાકેશ ટીકૈતના પરિવારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી