સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશના આઝમગઢ અને રામપુરમાં યોજાનારી લોકસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ આઝમ ખાનની પત્ની તન્ઝીન ફાતિમને રામપુરથી અને ધર્મેન્દ્ર યાદવને આઝમગઢથી ટિકિટ આપી છે.ભાજપે આઝમગઢથી ભોજપુરી ગાયક દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ અને રામપુરથી ઘનશ્યામ લોધીને ટિકિટ આપી છે.
ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં સપાએ રામપુર અને આઝમગઢ બેઠક જીતી હતી. અખિલેશ યાદવ આઝમગઢથી અને આઝમ ખાન રામપુરથી જીત્યા હતા આ પછી, આ વર્ષે માર્ચમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આ બંને નેતાઓની જીત બાદ આઝમગઢ અને રામપુર બેઠકો ખાલી પડી હતી. અહીં 23 જૂને જનતા તેમના સાંસદને ચૂંટવા માટે મતદાન કરશે.
આઝમગઢમાં, બહુજન સમાજ પાર્ટી (BSP) પહેલાથી જ પૂર્વ ધારાસભ્ય શાહ આલમ ઉર્ફે ગુડ્ડુ જમાલીને તેમના ઉમેદવાર તરીકે જાહેર કરી ચૂકી છે. ‘નિરહુઆ’ અને ગુડ્ડુ જમાલીના ઉતર્યા બાદ સપાએ પણ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.
અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવને આઝમગઢ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નથી. વર્તમાન સ્થિતિમાં આઝમગઢ સપા માટે સુરક્ષિત બેઠક નથી, તેથી પાર્ટીએ હારના ડરથી ડિમ્પલને મેદાનમાં ઉતારવાનું જોખમ લીધું નથી. પાર્ટીએ અહીંથી ધર્મેન્દ્ર યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. રાજકીય જાણકારોના મતે સપાને આઝમગઢ કે રામપુરમાં હારનો ડર છે. જો આમ થશે તો એવું માનવામાં આવશે કે મુસ્લિમો સપાથી દૂર જઈ રહ્યા છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં પણ પાર્ટીને વોટ નહીં આપે. રામપુર સીટની વાત કરીએ તો સપાએ આઝમ ખાનની પત્ની તન્ઝીન ફાતિમાને ટિકિટ આપી છે.ભોજપુરી ફિલ્મોના અભિનેતા અને લોક ગાયક દિનેશ લાલ યાદવ 2019ની લોકસભા ચૂંટણીમાં આઝમગઢમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સામે ભાજપના ઉમેદવાર હતા અને તેઓ હાર્યા હતા. ભાજપે દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ પર ફરી દાવ લગાવ્યો છે