રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ભારત સરકારને નિર્દેશ આપવા માટે એક વકીલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે ભારત સરકાર ભારતીયોને બહાર કાઢવાનું પોતાનું કામ કરી રહી છે.
ઓપરેશન ગંગા હેઠળ આજે 3726 ભારતીયોને યુક્રેનથી પરત લાવવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ આપી છે. તેમણે કહ્યું કે બુકારેસ્ટથી 8 ફ્લાઈટ, સુસેવાથી 2 ફ્લાઈટ, કોસીસથી 1 ફ્લાઈટ, બુડાપેસ્ટથી 5 ફ્લાઈટ અને રિઝોથી 3 ફ્લાઈટ્સ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને પરત લાવશે.