@અમિત રૂપાપરા
Surat News: સસ્તા ભાવે હીરા લેવાની લાલચમાં સુરતનો વેપારી નેપાળમાં લૂંટાયો. રોહિત રંગાણી નામના વ્યક્તિએ સુરતના અલ્પેશ કાકડીયાનો સંપર્ક કરીને નેપાળના એક વ્યક્તિ પાસેથી સસ્તા ભાવે હીરા અપાવવાનું કહીને અલ્પેશને નેપાળ બોલાવ્યો હતો. ત્યારબાદ નેપાળના જ એક મકાનમાં બે દિવસ સુધી બંધક બનાવી માર મારી અલ્પેશ પાસેથી 7,56,000 રૂપિયા પડાવી લીધા હતા. ત્યારબાદ ધમકી આપી અલ્પેશને છોડી મૂક્યો હતો. સુરત આવ્યા બાદ અલ્પેશે રોહિત સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં રહેતા અને વેપાર કરતાં અલ્પેશ કાકડીયા નામના વ્યક્તિને 3 સપ્ટેમ્બરના રોજ રોહિત રંગાણી નામના વ્યક્તિનો ટેલીફોનિક માધ્યમથી સંપર્ક થયો હતો અને રોહિતે અલ્પેશ સાથે કૌશિક ચોડવડિયા નામના વ્યક્તિની ઓળખ આપીને વાતચીત કરી હતી અને અલ્પેશને સસ્તા ભાવે હીરા વેચવાવાળા વેપારીને વેપારમાં મળાવીને સારો ધંધો અને વેપાર કરાવી આપવાની લાલચ આપી હતી.
રોહિત રંગાણી કે, જે સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે, તેને અલ્પેશ કાકડિયાની નેપાળ જવા માટેની ટિકિટ પણ બુક કરાવી દીધી હતી. પરંતુ અલ્પેશને રોહિત પર શંકા જતા તેને આ ફ્લાઈટ કેન્સલ કરાવી હતી અને ત્યારબાદ રોહિતે બે ત્રણ લોકોનો રેફરન્સ આપીને અલ્પેશ સાથે વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ અલ્પેશ રોહિતને નેપાળ મળવા જવા માટે તૈયાર થયો હતો.
અલ્પેશ જ્યારે રોહિતને મળવા માટે નેપાળ પહોંચ્યો ત્યારે હીરાના વેપારીને પણ બોર્ડરથી થોડા દૂર આવેલા એક મકાનમાં છે તેવું કહીને રોહિત અલ્પેશને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારબાદ આ મકાનમાં રોહિતની સાથે અન્ય ચારથી પાંચ જેટલા ઈસમોએ સુરતના વેપારી અલ્પેશને બંધક બનાવી દીધો હતો.
અલ્પેશ કાકડીયાએ જણાવ્યું હતું કે, તેને બે દિવસ સુધી હાથ પગ સાંકળથી બાંધેલી હાલતમાં બંધક બનાવવામાં આવ્યો હતો. જમવાનું પણ આપવામાં આવતું ન હતું અને પાણી માગવામાં આવે તો માત્ર એક ઘૂંટડો જ પાણી પીવડાવવામાં આવતું હતું. રોહિત રંગાણીએ બંધક બનાવ્યા બાદ મારી નાખવાની ધમકી આપી માર મારીને અલગ અલગ સગા સંબંધીઓ પાસે whatsappના માધ્યમથી અલ્પેશ કાકડીયાને કોલ કરાવી ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. ઓનલાઇનના માધ્યમથી 6,25,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ અલ્પેશ પાસે રહેલા 1,31,000 બળજબરીથી કઢાવી લીધા હતા.
અલ્પેશ જ્યારે રોહિતને મળવા નેપાળ ગયો હતો. ત્યારે તેની સાથે એક મિત્ર પણ હતો અને અલ્પેશની સાથે તેના મિત્રને પણ બંધક બનાવવામાં આવ્યો હતો અને કુલ 7,56,000 અલ્પેશ કાકડીયા પાસેથી પડાવી લીધા બાદ તેને આ ઘટનાની વાત કોઈને ન કહેવાની ધમકી આપીને છોડી મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ અલ્પેશ કાકડીયા ફ્લાઈટ માધ્યમથી અમદાવાદ આવ્યા અને ત્યારબાદ ત્યાંથી સુરત આવી સમગ્ર ઘટનાને લઈને સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં રોહિત રંગાણી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું મોત, પરિજનો પર આભ ફાટ્યું
આ પણ વાંચો:પિતાએ ઠપકો આપતા બાળકીઓ ઘર છોડીને નીકળી ગઈ અને પછી જે રીતે મળી…..
આ પણ વાંચો:સાંતલપુરમાં કેશુ મહારાજને ટ્રક ચાલકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો
આ પણ વાંચો:વાપી GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સોલવન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની