દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધતા સ્વાસ્થ્યને લઈને ચિંતામાં વધારો થયો છે. દિલ્હી સરકાર દ્વારા આ મામલે કેટલાક મહત્વનો નિર્ણયો લેવામાં આવ્યા. દિલ્હીમાં AQI સ્તર 500થી વધતા શાળા કોલેજ બંધ રાખવા સાથે બાંધકામને લઈને પ્રતિબંધો લાદવામાં આવ્યા. વાયુ પ્રદૂષણની સમસ્યા સામનો કરવા દિલ્હી સરકાર દ્વારા ઉકેલરૂપી ‘કૃત્રિમ વરસાદ’ને લઈને વિચારણા હાથ ધરી છે.
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ મામલે માહિતી આપી. તેમણે જણાવ્યું કે દિવાળી તહેવાર બાદ નવેમ્બરના અંતિમ દિવસોમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કૃત્રિમ વરસાદ થઈ શકે છે. વધુમાં તેમણે કહ્યું કે IIT કાનપુરે આ માટે ટ્રાયલ હાથ ધરતા ‘ક્લાઉડ સીડિંગ’ દ્વારા કૃત્રિમ વરસાદ કરવામાં આવશે. આ માહિતી સામે આવ્યા બાદ લોકોને વિશ્વાસ થતો નથી કે ખરેખર અકુદરતી રીતે વરસાદ થઈ શકે છે. શું છે આ ‘ક્લાઉડ સીડિંગ’ અને શું અગાઉ પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ.
શું છે ‘ક્લાઉડ સીડિંગ’ ટેકનોલોજી
‘ક્લાઉડ સીડિંગ’ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેના દ્વારા હવામાનમાં પલટો લાવી શકાય છે. અને કૃત્રિમ રીતે વરસાદનું સર્જન કરી શકાય છે. ક્લાઉડ સીડીંગની પ્રક્રિયા દરમિયાન, નાના એરક્રાફ્ટ વાદળોમાંથી ઉડાડવામાં આવે છે, જે સિલ્વર આયોડાઈડ, પોટેશિયમ આયોડાઈડ અને ડ્રાય આઈસ (સોલિડ કાર્બન ડાયોક્સાઇડ) મુક્ત કરે છે. સિલ્વર આયોડાઈડ એ એક રસાયણ છે જેની આસપાસ પાણીના કણો એકઠા થવા લાગે છે અને ટીપાં બનવા લાગે છે. જ્યારે આ ટીપાં ભારે થઈ જાય છે, ત્યારે તેમના વજનાને કારણે પાણીના ટીપાં પૃથ્વી પર પડવા લાગે છે, જેના કારણે વરસાદ પડે છે. ક્લાઉડ સીડિંગ દ્વારા કરાતો કૃત્રિમ વરસાદ સામાન્ય વરસાદ કરતાં વધુ તીવ્ર હોય છે.
અન્ય દેશોએ પણ કર્યો છે ઉપયોગ
દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા દૂર કરવા કલાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ કરવા અંગે દિલ્હી સરકાર વિચારણા કરી રહી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરનાર ભારત એકમાત્ર દેશ નથી. ચીન અને મધ્યપૂર્વનો દેશો ઉપરાંત 50થી વધુ દેશોએ આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. 1940ના દાયકાથી વિશ્વના અનેક દેશો ક્લાઉડ સીડિંગ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે. સૌપ્રથમ વખત ભારતના તામિલનાડુમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં કૃત્રિમ વરસાદ પાડવામાં આવ્યો હતો. જો કે આ ટેક્નોલોજીના ઉપયોગ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની મંજૂરીની જરૂર પડશે.
કૃત્રિમ વરસાદથી વાયુ પ્રદૂષણની સમસ્યા ખરેખર દૂર થશે
વાયુ પ્રદૂષણ હવે ફક્ત દિલ્હી નહી પરંતુ દેશના અન્ય શહેરો માટે પણ મોટી સમસ્યા બની રહી છે. તાજેતરમાં દિલ્હીમાં વાયુ પ્રદૂષણમાં 500 સ્તરથી પણ વધુ વધારો થતા કૃત્રિમ વરસાદ પર વિચારણા કરવામાં આવી રહી છે. જો કે નિષ્ણાતો કહી રહ્યા છે કે આ વાયુ પ્રદૂષણનો કાયમી નહી પરંતુ આંશિક ઉકેલ છે. વરસાદ બંધ થયાના થોડા સમયમાં જ ફરી પ્રદૂષણનું સ્તર ફરી જૂના સ્તરે પહોંચી શકે છે. આ પ્રયોગનૌ સૌથી મોટો પડકાર હવામાન છે. કેમકે વાતાવરણમાં ભેજ હોય કે વાદળો હોય ત્યારે જ ‘ક્લાઉડ સીડીંગ’ દ્વારા કૃત્રિમ વરસાદ શક્ય બને છે. આ ટેકનોલોજીના લાભ અને ગેરલાભ તેમજ પર્યાવરણ પર થતી અસરકારકતા અંગે સંશોધન થઈ રહ્યા છે.
આ પણ વાંચો : Spacelab/ ગુજરાતની સૌપ્રથમ સ્પેસ લેબ અમદાવાદમાં
આ પણ વાંચો : અમદાવાદ/ થલતેજની મહારાજા હોટલ સીલ, સામે આવ્યું આ મોટું કારણ
આ પણ વાંચો : Surat-ED Raid/ સુરતમાં હવાલાથી નાણા વિદેશ મોકલનારાને ત્યાં ઇડી ત્રાટકી