એએનઆઈ સાથે પીએમ મોદીનું નવા વર્ષનું ઈન્ટરવ્યું ઘણું ખાસ રહ્યું છે. પીએમ મોદીએ આ ઈન્ટરવ્યુંમાં ઘણા બધા મુદ્દાઓને આવરી લીધા છે.
દેશના આરબીઆઈના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલના રાજીનામાંને લઈને પ્રથમ વખત વડાપ્રધાને પોતાનું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે ઊર્જિત પટેલે અંગત કારણોને લઈને પોતાની ઇરછાથી રાજીનામું આપ્યું છે. તેઓ ૬-૭ મહિના પહેલા જ મારી સાથે રાજીનામાં અંગે વાત કરવા આવ્યા હતા. આ વાત તેમણે મને લખાણમાં આપી હતી. આ નિર્ણય પર કોઈ પણ બાબતનું રાજકીય દબાણ તેમની પર નહતું. તેમણે આરબીઆઈના ગવર્નર રહીને ખુબ સારું કામ કર્યું છે.
તમને જણાવી દઈએ કે આરબીઆઈના ગવર્નર ઊર્જિત પટેલે ૧૦ ડીસેમ્બરના રોજ અચાનક રાજીનામું આપી દેતા દેશમાં તેમના આ નિર્ણય બદલ અનેક સવાલો ઉભા થયા હતા પરંતુ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ રાજીનામું તેમના અંગત કારણોને લીધે આપી રહ્યા છે.
ઓગસ્ટ ૨૦૧૬ના રોજ આરબીઆઈના ગવર્નર તરીકે ઊર્જિત પટેલને નિમણુક કરવામાં આવ્યા હતા, રઘુરામ રાજનની જગ્યા ઊર્જિત પટેલે લીધી હતી. તેમનો કાર્યકાળ ૩ વર્ષ સુધીનો હતો પરંતુ આ કાર્યકાળ પહેલા જ તેમણે ગવર્નર પદ પરથી રાજીનામું આપી દીધું હતું.