ચંદીગઢ
હરિયાણાની સ્કુલમાં એક વિદ્યાર્થીએ તેના જ પ્રિન્સિપાલની ગોળી મારીને હત્યા કરી નાંખી છે.હરિયાણાના યમુનાનગરમાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કુલમાં બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ ઓફિસમાં જ પ્રિન્સિપાલને ત્રણ ગોળીઓ મારી હતી.પોતાના પિતાની લાયસન્સવાળી રિવોલ્વરથી વિદ્યાર્થીએ 47 વર્ષના આચાર્ય રીતુ છાબરાની હત્યા કરી હતી.
પોલિસે 18 વર્ષના વિદ્યાર્થી અને તેના પિતાની ધરપકડ કરી છે.પોલિસના સુત્રો કહે છે કે આ વિદ્યાર્થી તેના સહધ્યાયીઓ સાથે અવારનવાર મારામારી કરતો હતો અને ભણવામાં પણ નબળો હતો.પ્રિન્સીપાલ આ બાબતે તેને ટોકતા રહેતા હતા અને તેનાથી ખીજાઇને વિદ્યાર્થીએ તેમની હત્યા કરી નાંખી હતી.
વિદ્યાર્થીએ આચાર્યની હત્યા કરવા માટે 32 બોરની વેમ્બલી સ્કોટ રિવોલ્વરનો ઉપયોગ કર્યો હતો.શનિવારે ઘરેથી ટ્યુશન ક્લામાં જવા નીકળેલ આ વિદ્યાર્થી અચાનક સ્કુલ પર પહોંચ્યો હતો.સ્કુલે પહોંચ્યા બાદ સાડા અગિયાર વાગ્યે તે પ્રિન્સીપલની ઓફિસમાં પહોંચીને ફાયરીંગ કર્યું હતું.ગોળીબારમાં આચાર્યને બે ગોળીઓ હાથ પર વાગી હતી,જ્યારે એક છાતીમાં વાગી હતી.
ગોળી વાગતા જ રીતુ છાબરા ફસડાઇ પડ્યા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જો કે ત્રણ કલાકની જહેમત બાદ પણ રીતુને બચાવી શક્યા નહોતા.
ગોળી માર્યા બાદ વિદ્યાર્થી ભાગ્યો હતો,પરંતું સ્કુલના કેમ્પસમાં જ વાલીઓ અને બીજા કર્મચારીઓ તેને પકડી લીધો હતો.