નવી દિલ્હી,
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા ફોડવા તેમજ તેના વેચાણ અંગે એક મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા મંગળવારે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા પર ઇનકાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરમાં કેટલીક શરતો સાથે ફટાકડા ફોડવા તેમજ તેના વેચાણને લઈ મંજૂરી આપવામાં આવી છે.
કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોશિશ કરવામાં આવે કે ઓછું પ્રદુષણ ફેલાવતા ફટાકડાનો ઉપયોગ કરવામાં આવે જેથી પર્યાવરણને પણ કોઈ નુકશાન ન પહોચે.
જો કે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા દિવાળીમાં ફટાકડા ફોડવા માટે એક સમય નક્કી કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, દિવાળી પર લોકો રાત્રે ૮ થી ૧૦ વચ્ચે, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર રાત્રે ૧૧.૪૫ થી ૧૨.૧૫ સુધી જ ફટાકડા ફોડી શકશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડાના ઓનલાઈન શોપિંગ પર પ્રતિબંધ મુક્યો છે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચ દ્વારા આ પહેલા ૨૮ ઓગષ્ટના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ મામલે કોર્ટ દ્વારા અરજીકર્તા ઉપરાંત ફટાકડાના વેપારીઓ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિત NGOના પક્ષ જાણ્યા હતા.
ગયા વર્ષે કોર્ટ દ્વારા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ
મહત્વનું છે કે, ગત વર્ષે રાજધાની દિલ્હી સહિત NCRમાં પ્રદૂષણને જોતા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ પર રોક લગાવવામાં આવ્યો હતો. દિવાળીથી પહેલા ૯ ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ લગાવતા પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, કેટલીક શરતો સાથે જ ફટાકડાનું વેચાણ કરી શકાશે.