ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યા હોવાના થોડા દિવસ પછી જ રઘુવરદાસની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. રઘુવર દાસ સામે ઝારખંડ મુક્તિ મોરચાનાં કાર્યકારી પ્રમુખ હેમંત સોરેનની જ્ઞાતિ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. રઘુવરદાસ હાલમાં કાર્યકારી મુખ્યમંત્રી છે, જ્યારે હેમંત સોરેન ગઠબંધન પક્ષનાં નેતા તરીકે ચૂંટાયા છે અને 29 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદનાં શપથ લેશે.
જામતાડાનાં એસપી અંશુમાન કુમારે જણાવ્યું હતું કે, હેમંત સોરેને રઘુવરદાસ વિરુદ્ધ 19 ડિસેમ્બરે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પેટા વિભાગીય પોલીસ અધિકારીએ પ્રાથમિક તપાસ બાદ કેસ નોંધ્યો હતો. હેમંત સોરેને રઘુવર દાસ પર દુમકા પોલીસ સ્ટેશનમાં જામતાડામાં ચૂંટણી સભા દરમિયાન તેમની જાતિ વિશે વાંધાજનક નિવેદન આપવાનો આરોપ મૂક્યો હતો. સોરેને કહ્યું કે, રઘુવરદાસની વાતથી તેમની લાગણી દુભાઇ છે, શું આદિવાસી પરિવારમાં જન્મ લેવો એ ગુનો છે?
આપને જણાવી દઇએ કે, 23 ડિસેમ્બરે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો આવ્યા. આ ચૂંટણીમાં પરાજયની સાથે ભારતીય જનતા પાર્ટીનાં હાથમાંથી એક અન્ય રાજ્ય નિકળી ગયુ. આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનાં ઘણા મંત્રીઓ હારી ગયા હતા. રઘુવર દાસ પણ પોતાની બેઠક બચાવી શક્યા નહીં અને જમશેદપુર પૂર્વથી અપક્ષ ઉમેદવાર સરયુ રાયનાં હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો.
ભાજપે અહી એકલા રહીને ચૂંટણી લડી હતી અને કેન્દ્રમાં તેના સાથી નીતીશ કુમારની જેડીયુ અને રામવિલાસ પાસવાનની એલજેપીએ ઝારખંડમાં તેમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જ્યારે સીટ વહેંચણી અંગે પણ ભાજપ દ્વારા આજસૂની સાથે પણ કોઇ ચર્ચા થઈ નહોતી, આ પછી, અજસૂએ રાજ્યની 81 બેઠકોમાંથી 56 બેઠકો પર ઉમેદવારો ઉભા કર્યા હતા. ભાજપની વાત કરીએ તો પાર્ટી ફક્ત 25 બેઠકો જ જીતી શકી. ભાજપે રાજ્યની 79 બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જ્યારે ભાજપથી છૂટા પડેલા આ ત્રણેય પક્ષોને ખાસ સફળતા મળી શકી નથી. આજસૂને જ્યા 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો તો બીજી તરફ જેડીયુ અને એલજેપીનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યુ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.