સતત 13 દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલની તબિયત દિવસે દિવસે વધારે લથડી રહી છે. આજે ગુરુવારે ઉપવાસના 13માં દિવસે હાર્દિકની તબિયત એટલી લથડી ગઈ છે કે તેનાથી ઉભા નથી થઇ શકાતું અને ચાલી પણ નથી શકાતું. મળતી માહિતી મુજબ ઉપવાસ છાવણીમાં આવવા માટે પણ હાર્દિક પટેલને વ્હીલચેર અને મિત્રોનો સહારો લેવો પડ્યો હતો.
જણાવી દઈએ કે 13 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના વજનના બાબતે વિવાદ થયો હતો. જેમાં હોસ્પિટલ કામગીરીની બેદરકારી સામે આવી હતી. હોસ્પિટલ કર્મચારીઓએ લૂલો બચાવ કરતા ટેક્નિકલ ક્ષતિ થઇ હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ હાર્દિકે સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તરફથી વાતચીત માટે કોઈ પહેલ કરવામાં નહિ આવે, તો જળનો ત્યાગ કરશે. જોકે, આ પહેલા પણ હાર્દિક પટેલે જળનો ત્યાગ કર્યો હતો. પરંતુ લોકો તેમજ આગેવાનોની સમજાવટ બાદ ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામીના હસ્તે જળ ગ્રહણ કર્યું હતું.
હાર્દિકની તબિયતની ચકાસણી કરવા આવેલા ડો.અભેરાજસિંહે જણાવ્યું કે ગુરુવાર સવારથી હાર્દિકની હાલત વધારે ખરાબ થઇ છે, તે તેનું દૈનિક કાર્ય પણ કરી શક્યો નથી. ઉપરાન્ત તેણે પાણી પણ ઓછા પ્રમાણમાં લીધું છે. અને તેની કિડની તેમજ લીવરને નુકસાન થઇ રહ્યું છે. જો આજ સાંજથી તે પાણી લેવાનું છોડી દેશે, તો તેની તબિયત વધારે ખરાબ થઇ શકે છે. અને હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે.
સરકાર તરફથી હાર્દિક પટેલ સાથે વાતચીત માટે કોઈ પહેલ કરાય છે કે નહિ, તે જોવું રહ્યું !