અમદાવાદ,
અમદાવાદમાં ગરીબો માટે બનાવેલ આશ્રયસ્થાનો એટલે કે શેલ્ટર હોમની હાલત કેટલી બદતર છે તેનો રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટમાં મુકાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત આશ્રયસ્થાનોની હાલત કેવી છે તેનો અહેવાલ ગુજરાત હાઇકોર્ટે મંગાવ્યો હતો.આ રિપોર્ટ તૈયાર કરવાનું કામ એડવોકેટ કે આર કોષ્ટીને સોંપવામાં આવ્યું હતું.
વકીલ કે.આર. કોષ્ટીએ શાહપુર અને ઘાટલોડિયામાં આવેલા બે આશ્રયસ્થાનોની મુલાકાત લઇને રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે બંને શેલ્ટર હોમમાં તેની કેપીસીટી પ્રમાણે ટોઇલેટની અછત હતી.આ શેલ્ટર હોમમાં બ્લેન્કેટ અને ચાદરો પણ એટલી ગંદી હતી કે માણસોના આરોગ્યને હાનિ પહોંચે.શેલ્ટર હોમમાં એવી પણ અનેક નકામી ચીજો જોવા મળતી હતી જે અહીં આશ્રય લેનારાઓ માટે કામની નથી.શેલ્ટરહોમમાં નકામા વાસણોથી લઇને બીજી અનેક નકામી ચીજોના ઢગલાં દેખાતા હતા.
રિપોર્ટ પ્રમાણે શેલ્ટર હોમમાં ગેસ કનેક્શન પણ નહોતું અને પીવાના પાણીના પણ ધાંધિયા હતા.ગુજરાત હાઇકોર્ટમાં આ રિપોર્ટ સબમીટ થયા પછી હવે કોર્ટ કોર્પોરેશનને જરૂરી નિર્દેશો આપી શકે છે.