- આજની IPL મેચ રદ
- KKR-RCBની આજે નહીં યોજાય મેચ
- KKRનાં બે ખેલાડીઓને થયો કોરોના
- ખેલાડીઓમાં પ્રસર્યુ કોરોના સંક્રમણ
દેશમાં કોરોનાવાયરસે તાંડવ મચાવવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી દેશમાં રમાઇ રહેલી ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટને લઇને હવે ખતરાની ઘંટી વાગી ગઇ છે. આપને જણાવી દઇએ કે, કોલકત્તા નાઈટ રાઇડર્સ (કેકેઆર) નાં બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામે ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 30 મી મેચ રદ કરવામાં આવી છે.
એએનઆઈમાં પ્રકાશિત થયેલા એક ન્યૂઝ રિપોર્ટમાં, બીસીસીઆઈ અધિકારીએ કહ્યું, “વરુણ અને સંદીપ કોરોના પોઝિટિવ આવ્યા છે અને આ કારણે આરસીબી કેમ્પમાં ચિંતા વધી ગઈ છે. આજની રમત રદ કરવામાં આવી છે. ” છેલ્લા 24 કલાકમાં ભારતમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસનાં બીજી લહેરનાં કારણે કુલ 3,417 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે કુલ 3,68,147 લોકો આ જીવલેણ વાયરસ સામે લડી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ આઈપીએલ 2021 બાયો બબલની અંદર કોઈ ખેલાડીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય. આ અગાઉ દિલ્હી કેપિટલ્સનાં અક્ષર પટેલ, કોલકાતાનાં નીતીશ રાણા અને વાનખેડે સ્ટેડિયમનાં કેટલાક ગ્રાઉન્ડ સ્ટાફનાં સભ્યો કોરોના પોઝિટિવ હોવાનુ સામે આવી ચુક્યુ છે.
અત્યાર સુધીમાં આઈપીએલની 29 મેચ રમાઇ છે અને કોઈ પણ મેચનાં આયોજનમાં કોઈ અડચણ આવી નથી. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) અથવા આઈપીએલ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. જો સમાચારોની માનીએ તો આ બપોર સુધીમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને સાથે આ મેચ કઇ તારીખે રમાશે તે પણ જાહેર થઇ શકે છે. આરસીબીએ સાત મેચ રમી છે અને તે પાંચ જીત સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ, કેકેઆરનાં ખાતામાં સાત મેચમાંથી ફક્ત બે જીત છે અને આ ટીમ પોઇન્ટ ટેબલમાં સાતમાં સ્થાને છે.