અમદાવાદના મેટ્રોરેલ પ્રોજેક્ટને લઈને રોડ રસ્તા બિસ્માર થઇ ગયા છે. ત્યારે ગત વર્ષે ખરાબ રસ્તાનો મામલે હાઇકોર્ટે સખત વલણ અપનાવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરને હાઇકોર્ટે આદેશ કર્યો છે કે ખરાબ રસ્તા માટે જવાબદાર સામે પગલા લેવામાં આવે.
હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, જે અધિકારીઓ ખરાબ રસ્તા મામલે જવાબદાર છે તેમની સામે કડક પગલાં લેવામાં આવે. ત્યારે આ મામલે સંડોવાયેલ તમામ લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાના પણ આદેશ કરાયા હતા. આટલું જ નહી, કોર્ટે કટાક્ષ કરતા કહ્યું કે, અમદાવાદના રસ્તા પર એક આંટો મારી જુઓ, જેથી ખ્યાલ આવશે કે મહાનગરના રસ્તાની હાલત કેવી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ બાદ રસ્તાઓની હાલત ખખડધજ બની જાય છે.
ખરાબ રસ્તાઓને લઈને ચાલુ વર્ષે AMC એ અગાઉ થી જ સતર્કતા દાખવી હતી. ત્યારે ગત 11મી ઓક્ટોબરે AMC ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે દિવાળીનો તહેવાર આવી રહ્યો હોવાથી વહેલામાં વહેલી તકે એટલે કે દિવાળી પહેલા રોડ રસ્તાનું સમારકામ પૂર્ણ કરવાની બાહેંધરી આપી હતી.
11 ઓક્ટોબરે કરેલ જાહેરાતને આજે એક માસ કરતા પણ વધુ સમય વીતી ગયો છે. ત્યારે કોર્પોરેશન દ્વારા આ બાબત ને ગંભીરતાથી ક્યારે લેવામા આવે છે તે જોવું રહ્યું.