અમદાવાદ
અમદાવાદમાં અમદાવાદ મ્યુનીસીપલીટી કોર્પોરેશનના 4 અધિકારીઓ અને જાણીતી બી સફલ બિલ્ડર કંપની સામે છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે.શહેરના નારણપુરા પોલિસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 4 અધિકારીઓ અને બી સફલ ગ્રુપના માલિકો અને કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી છે. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ લખુડી તલાવડી નામની ઝુપડપટ્ટીમાં ગુજરાત સરકારની મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો બનાવવામાં આવ્યા હતા. આ યોજના અંતર્ગત ઝુપડપટ્ટીમાં રહેતા લોકોના મકાનો તોડીને તે જગ્યાએ નવા મકાન બનવાના હોવાથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
જયારે મુખ્યમંત્રી આવાસ યોજનાનું કામકાજ સંપૂર્ણ થયું હતું ત્યારે તે જમીન પર રહેતા લોકોને તેમની જમીનની ફાળવણી કરવામાં આવી હતી. ફાળવણીની પ્રક્રિયામાં મ્યુનીસીપાલીટી દ્વારા ગેરરીતીઓ સર્જાઈ હતી અને લોકોને રહેઠાણ માટે ઓછી જમીનની ફાળવણી કરવામાં આવી હતી. ઘણા લોકોને એકથી વધારે ઘર સોપવામાં આવ્યા હતા જયારે ઘણા લોકોને કબજો સોપવામાં આવ્યો જ નહોતો.
આ જમીનની ગેરરીતિઓ હેઠળ જયરાજસિંહ પરમાર નામની વ્યક્તિ દ્વારા મ્યુનીસીપાલીટી ના 4 અધિકારીઓ અને બી સફલ નામના બિલ્ડર ગ્રુપ પર પોલીસ કેસ નોંધવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ પોલિસે ફરિયાદ લીધી હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે લખુડી તલાવડી આવાસ યોજનામાં એક પરિવારને વધારે ઘરો ફાળવવાથી લઇને અમુક લોકોને પોતાના જ આવાસ ઘરમાં ભાડે રાખવામાં આવ્યા હતા. આ આવાસમાં ખોટી રીતે ફેરબદલીથી કબજો સોંપવા જેવી બાબતો સામે આવી હતી. પોલીસ તપાસમાં બી સફલ બિલ્ડર ગ્રુપના એમડી અને ચેરમેન રાજેશ બ્રહ્મભટ્ટ અને મ્યુનીસીપાલીટીના અધિકારીઓ સાથે મળીને ખોટા દસ્તાવેજો બનાવવાનું પણ સામે આવ્યું છે.પોલિસે બી સફલના માલિકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.