અરબી સમુદ્રમાંતી પેદા થયેલું વાવાઝોડું બિપરજોયનું કચ્છના દરિયાકાંઠે ટકરાયા બાદ મોરબી, રાજકોટ, પોરબંદર,સૌરાષ્ટ્રના સોમનાથ, દ્વારકા, ભાવનગર, જામનગર, માંગરોળ, જાફરાબાદના દરિયા કિનારાઓમાં મોજાઓ તોફાની બન્યા છે. પોરબંદર, સોમનાથ સહિત કેટલાક બંદરોમાં તો દરિયાના મોજા કિનારાને છોડીને રસ્તા પર ફરી વળ્યા છે.
મોરબી
બિપરજોય વાવાઝોડાના લેન્ડફૉલ બાદ મોરબીના નવલખી બંદર નજીક પવન સાથે ભારે વરસાદ તુટી પડ્યો છે. મોરબીમાં સવારથી જ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવવાની ઘટનાઓ સામે આવી છે. મોરબી જિલ્લામાં તમામ વિસ્તારમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. મોરબીમાં નવલખી બંદર, ઝિંઝડા, વર્ષા મેડી, મોટા દહિસરા, નાના દહિસર, લવણપુર સહિતના વિસ્તારોમાં ભારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
રાજકોટ
રાજકોટના ધોરાજીમાં મહિલા ફોરેસ્ટ ઓફિસરોની સરાહનિય કામગીરી સામે આવી છે.રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારીકા પંડ્યાએ પોતાના સ્ટાફ સાથે મળીને રસ્તા પર પડેલા ઝાડને હટાવાની કામગીરી કરી હતી. ધોરાજીમાં કુલ 65 જેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા જેને લઈને મહિલા ફોરેસ્ટ ઓફિસરોની ટીમે ઝાડ હટાવાની સરાહનિય કામગીરી કરી હતી.
જામનગર
જામનગરમાં ઠેરઠેર વાવાઝોડાને કારરણે નુક્સાનીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોરદાર પવન ફૂંકાવાના કારણે જામનગર સેન્ટ્રલ બેન્કના જૂના મકાનનો સ્લેબ તુટી પડ્યો હતો. સ્લેબ ઝાડ પર પડતા સદનસીબે કોઈ જાન હાની થઈ ન હતી.તંત્રની સ્લેબને હટાવાની કામગીરી પણ કરાઈ હતી. ‘બિપરજોય’ વાવાઝોડા અન્વયે નાગરિકોને ઓછામાં ઓછી નુકસાની થાય એ હેતુથી જામનગર એસ.ટી.વિભાગ દ્વારા તમામ રૂટની બસો હાલપૂરતી સ્થગિત કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિભાગ હેઠળના જામનગર, દ્વારકા, ખંભાળિયા, ધ્રોલ તથા જામજોધપુર સહિતની તમામ એસ.ટી.બસ ડેપો પરથી પરિવહન કરતી તમામ રૂટની બસો હાલપૂરતી સ્થગિત કરવામાં આવી છે. સરકાર તરફથી નવી સૂચના મળ્યે બસોનું પરિવહન પુનઃ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે.
ભાવનગર
ભાવનગરમાં 4 કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના 10 માંથી 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 4 કલાક દરમિયાન ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદની આંકડાકીય માહિતી જોઇએ તો વલ્લભીપુરમાં 6 મિમી, ગારીયાધારમાં 15 મિમી, ઉમરાળામાં 00 મિમી, ભાવનગરમાં 45 મિમી, ઘોઘામાં 21 મિમી, તળાજામાં 4 મિમી, સિહોરમાં 17 મિમી, પાલીતાણામાં 18 મિમી, જેસરમાં 8 મિમી તથા મહુવામાં 6 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરાળા એક જ તાલુકા વરસાદ નોધાયો ન હતો.
અમરેલી
અમરેલી જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે.ભારે પવન ફુકાતા અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો કેટલી જગ્યાએ ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા.બિપરજોય વાવાઝોડું ભલે ગુજરાતમાંથી પસાર થઈ ગયું હોય પરંતુ તેની અસર અત્યારે પણ ભારે પવન સાથે વરસાદ સાથે અનેક જિલ્લામાં જોવા મળી રહી છે.
પોરબંદર
વાવાઝોડા અંગે પોરબંદર જિલ્લાના કલેક્ટર કે.ડી.લાખાણીએ મહત્વનુ નિવેદન આપ્યુ છે.સમગ્ર જિલ્લામાં કોઈ મોટુ નુકશાન થયુ નથી. જિલ્લામાં 38 જેટલા કાચા પાકા મકાનોને નુકશાન થયુ છે. જ્યારે 117 ઝાડ ધરાશાહી થયા છે અને 342 જેટલા વિજપોલને નાનુ મોટુ નુકશાન થયુ છે.તેમજ જિલ્લા પ્રશાસને કુશળતાપૂર્વક અસરગ્રસ્તોનું સ્થળાંતર કર્યું છે.
સોમનાથ
બિપોરજોય વાવાઝોડા અને તેની આડઅસરોને ધ્યાને લઈને સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે આજે 16 જૂન શુક્રવારના રોજ પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે મંદિરમાં મંદિરમાં પૂજાકાર્ય નિયત કાર્યક્રમ અનુસાર કરવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિર જેમાં શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી રામ મંદિર, ત્રિવેણી સંગમ, શ્રી શશિભૂષણ મહાદેવ મંદિર, પ્રાચી ખાતેના ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. તમામ મંદિરોનો પૂજાક્રમ નિયત પ્રણાલિકા અનુસાર રહેશે.
નવસારી
નવસારીમાં વાવાઝોડા વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો, નવસારીમાં સોના સેમ્બર્સના એપાર્ટમેન્ટમાં પાંચમા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો, ગેલેરીનો ભાગ તૂટી પડતાં ગેલેરી નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન થવા પામ્યું હતું. 4 બાઈક અને એક કારને નુકસાન થવા પામ્યું હતું, પાલિકાએ નોટિસ આપી ઉતારી પાડવા સુચના આપી હતી.
આ પણ વાંચો:પરબ ધામમાં વર્ષોથી યોજાતો અષાઢી બીજનો મેળો રદ, આ છે મોટું કારણ
આ પણ વાંચો:વીજળીના કડાકા સાથે રહેશે વરસાદ , હવામાન વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ
આ પણ વાંચો:ટૂંક સમયમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાત, 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન
આ પણ વાંચો:ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની શરૂઆત, ભારે પવન સાથે ભારે વરસાદ; મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી