ચક્રવાત બિપરજોય ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી પસાર થયું છે. આ દરમિયાન આ ચક્રવાતના કારણે આ વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બિપરજોય ચક્રવાતને કારણે આ વિસ્તારોમાં ભારે પવન અને ભારે વરસાદનો પણ સામનો કરવો પડ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના 7 જિલ્લામાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો છે. જેમાં કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભારે વરસાદમાં ઝાડની નીચે આશરો ન લેવા તંત્રનું સૂચન છે. તથા વાવાઝોડાની દિશા ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ રહી છે. દરિયા કિનારે ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
જણાવીએ કે, જખૌના શેલ્ટર હોમમાં લોકોએ રાત જાગીને કાઢી હતી.વાવાઝોડાની ભયાનકતા અને ડર વચ્ચે બિહામણા દ્રશ્યો સામે આવ્યા છે.સવાર પડતા જીવ બચતા લઈને લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. આવું વાવાઝોડું ફરી ન આવે તેમાં લોકો પાર્થના રહ્યા છે.
માંડવી-નલિયા હાઇવે પર માંડવીમાં આખી રાત વાવાઝોડાના કારણે ફુંકાતા ભારે પવન અને વરસાદના કારણે રસ્તા પર અનેક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. તો ક્યાંક ઝુંપડા પરથી નળિયા ઉડેલા જોવા મળ્યા હતા અને ઠેર ઠેર વૃક્ષો તેમજ વીજપોલ હાઇવે પર ધરાશાયી થયેલ જોવા મળ્યા હતા. માંડવીમાં વાવાઝોડાની ગતિ એટલી તીવ્ર હતી કે કાચા-પાકા મકાનના પતરાઓ અને હોર્ડિગ્ઝ ઉડ્યા હતા. માંડવી હાઈવે પર આવેલા એક પેટ્રોલપંપમાં પણ વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું હતું.
ભારે પવનના કારણે વૃક્ષો ઉખડી ગયા છે, તો વીજ થાંભલા ઉખડી જવાથી ચોમેર અંધારપટ છવાયો છે. મધરાતે વાવાઝોડાની આંખ પાકિસ્તાનમાં પ્રવેશવાની શરૂ થઈ હતી. એક આંકડા મુજબ કચ્છમાં 940 ગામોમાં વીજપોલ પડ્યા, તો 524 વૃક્ષો ધરાશાયી થયા હતા.
ગતરાત્રે વાવાઝોડાને પગલે ભારે વરસાદ થતાં દુર્ગાપુરના વાડી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અહીંયા મજૂરી અર્થે રહેતા પરિવારો પર જીવનું જોખમ ઊભું થતાં આ અંગેની જાણકારી પોલીસ કંટ્રોલ રૂમમાં પરિવારજનોએ કરી હતી. જેની જાણ માંડવી પોલીસને થતા જ સવારના 10:00 વાગ્યે 9 બાળકો 4 મહિલા અને 3 પુરુષોને પોલીસે પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
તમામ પરિવારના લોકોને દોરડા અને અન્ય સાધનોની મદદથી મુખ્ય રોડ સુધી લઈ આવી સહી સલામત શેલ્ટર હોમ સુધી પહોંચાડ્યા હતા.આ પરિવારજનોમાં કુલ 16 લોકોનો સમાવેશ થતો હતો. જેમાં નવ બાળકો ચાર મહિલા અને ત્રણ પુરુષ સામેલ હતા.
કચ્છમાં પ્રશાસનની યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. માર્ગ-મકાન વિભાગની 50 ટીમો,115 જેસીબી, 98 ડમ્પર, 41 ટ્રેકટર, 27 લોડર સાથે કામગીરી ચાલી રહી છે.
ઊર્જા વિભાગ હેઠળ, PGVCL દ્વારા સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓના કુલ 3751 ગામડાઓમાં 1127 ટીમો તૈનાત કરવામાં આવી હતી, જ્યારે GETCO દ્વારા કુલ 714 સબસ્ટેશનોમાં 51 ટીમો તહેનાત કરવામાં આવી હતી. PGVCL દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં કુલ 889 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી, જ્યારે GETCO દ્વારા આસપાસના જિલ્લાઓમાં કુલ 81 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
રાજ્યના માર્ગ અને મકાન વિભાગે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં જરૂરી સાધન-સામગ્રી સહિત 132 ટીમો તૈયાર રાખી હતી. 328 જેસીબી મશીન, 276 ડમ્પર, 204 ટ્રેક્ટર, 60 લોડર અને 234 અન્ય સાધન સામગ્રી સાથે આ ટીમો અસરગ્રસ્ત થયેલા રસ્તાઓની મરમ્મતની કામગીરી કરી રહી છે. આ ઉપરાંત, અસરગ્રસ્ત જિલ્લાઓના 263 રસ્તાઓ પરથી અત્યારસુધીમાં 1137 વૃક્ષો હટાવવામાં આવ્યા છે.
હાલ વાવાઝોડું બિપરજોય રાજસ્થાન તરફ પહોંચી ગયું છે અને અહીં પણ ભારે પવન સાથે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. દરમિયાન અતુર કરવાલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, રાજસ્થાનમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે અને શુક્રવારે અને શનિવારે પણ આવી જ સ્થિતિ રહેશે.
આ પણ વાંચો:પરબ ધામમાં વર્ષોથી યોજાતો અષાઢી બીજનો મેળો રદ, આ છે મોટું કારણ
આ પણ વાંચો:વીજળીના કડાકા સાથે રહેશે વરસાદ , હવામાન વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ
આ પણ વાંચો:ટૂંક સમયમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે ચક્રવાત, 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન
આ પણ વાંચો:ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની શરૂઆત, ભારે પવન સાથે ભારે વરસાદ; મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી