નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યુ છે ત્યારે લોકસભામાં ગુજરાત સહિત સમગ્ર દેશના સાંસદો અંગે એડીઆરે રસપ્રદ રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અહેવાલ મુજબ ગુજરાતના સાંસદો સવાલો પૂછવામાં દેશમાં દસમા નંબરે હતા, પણ હાજરી આપવામાં સૌથી આગળ હતા. 17 મી લોકસભા 2019થી 2024 ચાલી તેમા ગુજરાત અને છત્તીસગઢના સાંસદોએ સૌથીવધુ હાજરી આપી હતી. ગુજરાત અને છત્તીસગઢના સાંસદો ગૃહના કુલ 273 દિવસ ચાલેલા કામકાજમાંથી 216 દિવસ હાજર રહ્યા. આમ ટકાવારીની રીતે તે 79 ટકા થાય છે.
લોકસભામાં ગુજરાતના સાંસદોની હાજરીની વાત કરીએ તો સૌથીવધુ હાજર રહેનારાઓમાં ટોચના ત્રણ સાંસદો છે. તેમા પંચમહાલના રતનસિંહ રાઠોડ, મહેસાણાના શારદાબેન પટેલ અને અમદાવાદ પશ્ચિમના કિરીટ સોલંકીનો સમાવેશ થાય છે. રતનસિંહ રાઠોડે 273માંથી 263 દિવસ લોકસભામાં હાજરી આપી છે, જે 96.30 ટકા થાય છે. શારદાબેન પટેલે 273માંથી 259 દિવસ ગૃહમાં હાજરી આપી છે, જે 94.90 ટકા થાય છે. જ્યારે કિરીટ સોલંકીએ 273માંથી 258 દિવસ હાજરી આપી છે, જે 94.50 ટકા થાય છે.
લોકસભામાં સૌથી વધુ હાજર રહેનારા સાંસદ રતનસિંહ રાઠોડ અને કિરીટ સોલંકીની ટિકિટ ભાજપે આ વખતે કાપી છે. જ્યારે શારદાબેન પટેલે ચૂંટણી લડવા ઇન્કાર કર્યો છે. બીજીતરફ ગુજરાતના કેટલાક સાંસદો એવા પણ છે જેણે લોકસભાના સત્રમાં સૌથી ઓછી હાજરી આપી છે. ખેડાના સાંસદ તેમજ રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ 273 દિવસમાંથી 97 દિવસ ગૃહમાં હાજર રહ્યા છે. જે 35.50 ટકા થાય છે. સુરતના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશ 273 દિવસમાંથી 118 દિવસ લોકસભામાં હાજર રહ્યા છે. જે 43.20 ટકા થાય છે. લોકસભામાં સૌથી ઓછી હાજરી આપનારા દેવુસિંહ ચૌહાણ આ વખતે ફરીથી ભાજપના ઉમેદવાર બન્યા છે તો દર્શના જરદોશના સ્થાને ભાજપે નવા ચહેરાને તક આપી છે.
ગુજરાતના સાંસદોએ લોકસભાના 273 દિવસના કામકાજ દરમિયાન કુલ 4,371 સવાલો પૂછ્યા હતા. આમ સરેરાશ 168ની છે. એટલે કે ગુજરાતના એક સાંસદે 273 દિવસના કામકાજ દરમિયાન 168 સવાલો પૂછ્યા હતા.
અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ 273 દિવસમાંથી 242 દિવસ ગૃહમાં હાજર રહી સૌથી વધુ 434 સવાલ પૂછયા હતા. રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ 273 દિવસમાંથી 237 દિવસ હાજર રહીને 342 સવાલ પૂછયા હતા. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ 273માંથી 212 દિવસ હાજર રહી 331 સવાલ પૂછ્યા હતા. સૌથી વધુ સવાલ પૂછનારા સાંસદ નારણ કાછડિયા અને મોહન કુંડિરાયની ટિકિટ કપાઈ છે તો રાજેશ ચુડાસમાને રીપીટ કરાયા છે.
વલસાડના સાંસદ ડો. કે.સી. પટેલ 273 દિવસમાંથી 240 દિવસ ગૃહમાં હાજર રહ્યા હતા, પરંતુ તેમણે એકેય સવાલ પૂછ્યો ન હતો. જ્યારે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી 244 દિવસ હાજર રહ્યા હતા અને તેમણે છ સવાલ પૂછ્યા હતા. સૌથી ઓછા સવાલ પૂછનારા ડો. કે.સી. પટેલના સ્થાને ભાજપે ધવલ પટેલને તક આપી છે.
આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે
આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે
આ પણ વાંચોઃ પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ
આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત