રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસે આજે ચૂંટણી પ્રચારનું બ્યુગલ ફૂંક્યું હતું. જે માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જયપુર પહોંચ્યા છે. અહીં એરપોર્ટ પર ઉતાર્યા બાદ રાહુલ ગાંધીએ રોડ શો કર્યો અને ત્યારબાદ રામલીલા મેદાન પહોંચ્યા હતા. આ પહેલા એરપોર્ટ પર પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.
તેઓ એક વિશેષ બસમાં સવાર થઈને જયપુરના રામલીલા મેદાન પહોંચ્યા હતા. આ દરમિયાન એમની સાથે પાર્ટીના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ હાજર હતા. હાલ રાહુલ ગાંધી જયપુરના રામલીલા મેદાનમાં આવેલા પાર્ટી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ને સંબોધિત કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો રામલીલા મેદાન પહોંચ્યા છે.
રામલીલા મેદાન પર કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ઉગ્ર હુમલો કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે જવાનો આ દેશ માટે લડે છે અને મરે છે. યુવાનો હિન્દુસ્તાનની રક્ષા માટે સેનામાં જવા માંગે છે. હિન્દુસ્તાનના લાખો યુવાનો એચએએલ માં કામ કરવાનું સપનું જોવે છે. 56 ઇંચની છાતી વાળા ચોકીદાર સામે સંસદમાં રાફેલની વાત આવે છે અને ભ્રષ્ટાચાર પર સવાલ પૂછવામાં આવે છે તો દોઢ કલાકના ભાષણમાં એક મિનિટ માટે પણ જવાબ નથી આપતા.
રાફેલ ડીલ લઈને પીએમ મોદી પર નિશાનો સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલ ખરીદવાનો કોન્ટ્રાકટ એ કંપનીને મળે છે, જે લગભગ સાત દિવસ પહેલા જ બનાવવામાં આવી છે. એમણે પીએમ મોદીને સવાલ કર્યો સવાલ કર્યો કે મોદી સરકારે 45 હજાર કરોડની કરજદાર અનિલ અંબાણીની કંપનીને રાફેલ કોન્ટ્રક્ટ કેમ અપાયો?
એમણે કહ્યું કે અનિલ અંબાણીની સૌથી મોટી યોગ્યતા એ છે કે તેઓ પીએમ મોદીના મિત્ર છે. જે કારણે એમની કંપનીને હવાઈ જહાજ ખરીદવાનો કરાર આપવામાં આવ્યો.