@અમિત રૂપાપરા
ગણેશ મહોત્સવને લઈને શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર તૈયારીઓ ખૂબ જ જોરશોરથી થઈ રહી છે. ત્યારે પર્યાવરણની જાળવણીને લઈને માટીમાંથી બનાવવામાં આવેલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવા માટે સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે. કારણ કે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનતી પ્રતિમા જો વિસર્જન કરવામાં આવે તો તેનાથી પાણીનું પ્રદુષણ થાય છે પરંતુ માટીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી હોવાના કારણે તેનાથી પ્રદૂષણ થતું નથી. એટલા માટે જ મોટાભાગે ગણેશ મંડળો દ્વારા માટીમાંથી બનાવવામાં આવેલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે.
ત્યારે સુરતની મનપા શિક્ષણ સમિતિની એક શાળાના વિદ્યાર્થીઓ પણ માટીમાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા બનાવી રહ્યા છે. આ શાળા સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલી છે અને શાળાનું નામ છે કવિ શ્રી ઉશનસ પ્રાથમિક શાળા. આ શાળામાં શિક્ષકોની મદદથી વિદ્યાર્થીઓ સમયાંતરે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓને માટીમાંથી ગણેશજીની પ્રતિમા કઈ રીતે બનાવાય તે શાળાના શિક્ષકોની મદદથી મળ્યું છે.
શાળાના શિક્ષકો દ્વારા ગુજરાત માટી કામ અને રૂરલ બોર્ડના સહકારથી એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને માટીમાંથી કઈ રીતે ગણેશજીની પ્રતિમા બનાવી શકાય તેનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું હતું અને આ કેમ્પ બાદ શાળામાં અભ્યાસ કરતા બાલવાડીથી લઈ ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી શકે છે.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 650 જેટલી ગણેશજીની માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે જે માટીનો ઉપયોગ ગણેશજીની પ્રતિમા બનાવવા માટે કરવામાં આવ્યો છે તે માટીમાં તુલસીના બીજ ઉમેરવામાં આવ્યા છે. જેથી જ્યારે આ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું વિસર્જન કોઈપણ કુંડામાં કે કોઈપણ જગ્યા પર કરવામાં આવે તો તે સ્થળ પર આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક ગણાતા અને ધાર્મિક દ્રષ્ટિએ પણ જેમનું સ્થાન ખૂબ જ ઊંચું છે તેવા તુલસીના રોપા ઉછરી શકે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જે 650 ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવામાં આવી છે તે તમામ પ્રતિમા વિદ્યાર્થી પોતાના ઘર પર સ્થાપિત કરશે અને દસ દિવસ ભગવાન ગણેશની પૂજા અર્ચના બાદ આ પ્રતિમાનું ઇકો ફ્રેન્ડલી રીતે કોઈ કુંડામાં કે, ઘરની આસપાસની જગ્યામાં વિસર્જન થશે અને ત્યારબાદ જે તે જગ્યા પર તુલસીના રોપાનો ઉછેર થશે.
શાળાના આચાર્ય વિજય ઝાંઝરુકિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ સરકારી શાળા હોવા છતાં પણ વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રવૃત્તિઓમાં નીપૂર્ણ થાય એટલા માટે આ પ્રકારે વિદ્યાર્થીઓ માટે અલગ અલગ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. હાલ શાળામાં અભ્યાસ કરતા બાલવાડીથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ ગણેશજીની પ્રતિમા બનાવે છે. શાળા દ્વારા પણ પર્યાવરણનું જતન થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. એટલા માટે જ શાળામાં પણ બને તેટલા વૃક્ષો ઉછેરવામાં આવી રહ્યા છે અને દરેક ક્લાસરૂમની બહાર અલગ અલગ રોપા પણ ઉછેરવામાં આવ્યા છે. તેથી વિદ્યાર્થીઓને પણ પર્યાવરણ બચાવવાનો એક સારો સંદેશ મળે.
આ પણ વાંચો:સુરતના આ એન્જીનિયર PM મોદીને માને છે ભગવાન, હાથ પર બનાવી દીધું PMના ફોટોનું ટેટુ
આ પણ વાંચો:સરકારી શાળાના વિદ્યાર્થીઓએ PM મોદીના જન્મદિવસ નિમિત્તે લખ્યો પત્ર અને વ્યક્ત કરી આ ઈચ્છા
આ પણ વાંચો:કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં OBC અનામત વિધેયક રજૂ કર્યું
આ પણ વાંચો:પોલીસ અને RTOની કડક કાર્યવાહી, લાયસન્સ મેળવવા લોકોની RTOમાં જામી ભીડ