એક સામાન્ય છાપ એવી છે કે માત્ર અલ્પવિકસીત કે વિકસતા દેશના ખેડૂતો જ આત્મહત્યા કરે છે. આ છાપ ખોટી છે, વિકસીત દેશોમાં પણ ખેડૂતો આત્મહત્યા કરે છે. 1995થી અત્યાર સુધીમાં ભારતમાં લગભગ 2,75,000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ફ્રાન્સમાં દર બીજા દિવસે એક ખેડૂત આત્મહત્યા કરે છે. વરસે લગભગ 600 ખેડૂતો જીવ આપી દે છે.
અમેરિકામાં સામાન્ય માણસો આત્મહત્યા કરે તેનાથી પાંચ ગણા વધારે ખેડૂતો આત્મહત્યા કરે છે. ઓસ્ટ્રેલિયામાં દર ચોથા દિવસે એક ખેડૂત આત્મહત્યા કરે છે. તો યુકેમાં દર સપ્તાહે એક ખેડૂત આત્મહત્યા કરે છે. આમ વિશ્વના દરેક ખૂણે દેવું થવાથી કે પોષણક્ષમ ભાવો નહિં મળવાના કારણે ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે. ફ્રાન્સની એક સંસ્થાએ કરેલા સર્વેની માહિતી જાહેર કરવામાં આવી છે, જે મૂજબ સામાન્ય માણસો જે દરે આત્મહત્યા કરે છે તેના કરતાં ખેડૂતોમાં આત્મહત્યાનો દર 20 ટકા વધુ છે. તેમાં ડેરી ક્ષેત્રે કાર્યરત ખેડૂતોનો આત્મહત્યા 30 ટકા જેટલો ઉંચો છે.
ફ્રાન્સમાં કૃષિની આવક તળીયે ગઇ છે. અભ્યાસ મૂજબ કુલ ખેડૂતના 30 ટકા ખેડૂતોની આવક મહિને 350 યુરો જેટલી જ છે. અને મહત્તમ આત્મહત્યાના કેસ ત્યારે નોંધાય છે, જ્યારે દૂધના ભાવ ખૂબ નીચા હોય છે. 2017ના આત્મહત્યાના બનાવનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું તો તેમાંથી એવા તારણો નીકળ્યાં કે નાના અને સિમાંત ખેડૂતોની આત્મહત્યાની સંખ્યા વધુ છે.
સમગ્ર યુરોપમાં ખેડૂતોની આવક ઘટી રહી છે. કારણકે કૃષિ પેદાશના ભાવમાં ખૂબ ચહલપહલ થઇ રહી છે. તેના સામે દર વરસે માથાદિઠ ખર્ચ વધી રહ્યો છે. અને અત્યંત ખરાબ હવામાનના કારણે પાકને ખૂબ નૂકશાન જઇ રહ્યું છે. આ ઓછું હોય તેમ યુરોપિયન યુનિયને તેના કૃષિ બજેટમાં પાંચ ટકાનો કાપ મૂક્યો છે. જો કે કમિશનના કૃષિ વિભાગને અહેસાસ થઇ ગયો છે ખેડૂતોને આર્થિક મદદની જરૂરીયાત છે, તેથી હવે તે ખેડૂતોના ખાતામાં આર્થિક સહાય સીધી જમા કરશે.
ફ્રાન્સ અને દુનિયા ભરના ખેડૂતોની એક જ ફરિયાદ છે કે તે દરરોજ સવારે વહેલા ઉઠી ખેતર, ખેતી કરે જેથી તેમાથી ઉત્પાદિત ખેત પેદાશથી તે અન્યનું પેટ ભરી શકે, દર સપ્તાહે ઓછામાં ઓછા 80 કલાક કામ કરે છે, તેના સામે વળતર મહિનાના 200 થી 300 યુરો જ છે, તેવા સંજોગોમાં ખેડૂત અને તેનો પરીવાર કેવી રીતે જીવી શકે.