તામિલનાડુમાં શનિવારના રોજ એક પ્રવાસી બસ 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 35થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માત સમયે બસમાં 59 જેટલા પ્રવાસીઓ સવાર હતા. તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને શોક વ્યક્ત કર્યો છે.
તામિલનાડુના કુન્નુરથી નજીક મારાપલમમાં એક પ્રવાસી બસ 100 ફુટ ઊંડી ખીણમાં ખાબકી હતી. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર પીડિતો તેનકાસી જિલ્લાના કદાયમના રહેવાસી હતા. પ્રવાસીઓ ઊંટીથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવી દેતા બસ ખીણમાં ખાબકી હતી.
બસ ખીણમાં ખાબકતા તેમાં બેઠેલા મુસાફરોએ ચીચયારી કરી મૂકી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તેઓ તરત જ ઘાયલોની મદદ કરવા પહોંચી ગયા હતા. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ઈજાગ્રસ્તનોને કુન્નુરની સરકારી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા.
પોલીસે અકસ્માત વિશે કહ્યું કે મૃતકોમાં ચાર મહિલાઓ અને એક સગીરનો સમાવેશ થાય છે. મોટાભાગના ઘાયલ લોકોને તબીબી સારવાર માટે નજીકના શહેર કોઈમ્બતુર મોકલવામાં આવ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી સ્ટાલિને મૃતકોના પરિવારજનોને 8 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ દરેકને 1 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. 25 ઘાયલ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.