નવી દિલ્હી,
૨૦૧૯માં યોજાનારી ચુંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે હવે સિયાસી પારો ખુબ આગળ વધ્યો છે. આ વિવાદને લઈ સામે નેતાઓ – મહંતો કે સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી વચ્ચે RSSના સહકાર્યવાહક ભૈયાજી જોશીની એક પ્રતિક્રિયા સામે આવી છે.
રાજધાની દિલ્હીમાં આયોજિત એક રેલીને સંબોધતા તેઓએ કહ્યું હતું કે, “રામ મંદિરના નિર્માણને લઈ અમે ભીખ નથી માંગી રહ્યા, સરકારે કાયદો બનાવવો જોઈએ”.
આ સાથે જ ભૈયાજી જોશીએ કેન્દ્રની મોદી સરકારને અલ્ટીમેટમ આપી દીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના રામલીલા મેદાનમાં રામ મંદિરના નિર્માણની માંગને લઇ વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના હજારો કાર્યકર્તાઓ ભેગા થયા છે. આ રેલીની મદદથી જ સંસદના શિયાળુ સત્ર પહેલા મોદી સરકાર પર આ વિવાદ અંગે અધ્યાદેશ લાવવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે.
કોર્ટ લોકોની ભાવનાઓનું કરે સન્માન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ નેતાઓમાંના એક ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, “દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. જે દેશમાં કાયદાની વ્યવસ્થા, કોર્ટની પ્રત્યે અવિશ્વાસ નથી, તેની ઉત્થાન સંભવ નથી, આ અંગે પણ કોર્ટ વિચાર કરે”.
મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના સૌથી ચર્ચિત એવા રામ મંદિરના વિવાદની સુનાવણી આગામી વર્ષના જાન્યુઆરી મહિના સુધી ટાળી દીધી છે.