Not Set/ Sotto અંતર્ગત એક સપ્તાહમાં 3 મૃતકોનું અંગદાન, 9 લોકોને મળ્યું નવું જીવન

પૈસેટકે સુખી અને કહેવાતા સાક્ષર-શિક્ષિત લોકો જે નિર્ણય લેવામાં ખચકાતા જોવા મળે છે એ અંગદાનનું મહાન કાર્ય કરવામાં માલેતુજારોની તુલનાએ ગરીબ માણસો અવ્વલ જોવા મળે છે.

Ahmedabad Gujarat Trending
Untitled 65 Sotto અંતર્ગત એક સપ્તાહમાં 3 મૃતકોનું અંગદાન, 9 લોકોને મળ્યું નવું જીવન

@માનસી પટેલ, અમદાવાદ 

પૈસેટકે સુખી અને કહેવાતા સાક્ષર-શિક્ષિત લોકો જે નિર્ણય લેવામાં ખચકાતા જોવા મળે છે એ અંગદાનનું મહાન કાર્ય કરવામાં માલેતુજારોની તુલનાએ ગરીબ માણસો અવ્વલ જોવા મળે છે.

ગુજરાત સરકારની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO) અંતર્ગત એક અઠવાડિયામાં ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે. આપણા સમાજમાં અંગદાન પ્રત્યે પ્રવર્તતી અલ્પ જાગૃતિને નજર સમક્ષ રાખવામાં આવે તો આ એક મોટી સિદ્ધિ છે.

મધ્ય પ્રદેશના રતલામના કલેક્ટરને ત્યાં રસોઇયા તરીકે કામ કરતા ભગીરથભાઈ પરમારના 20 વર્ષના પુત્ર આકાશ પરમારને બ્રેઇનડેડ જાહેર કરાતા ભગીરથભાઈએ આકાશની બે કિડની, એક લિવર અને એક સ્વાદુપિંડનું મહાદાન કર્યું. આકાશની એક કિડનીનું રાજકોટની 11 વર્ષની દિકરીના શરીરમાં અને બીજી કિડનીનું બનાસકાંઠાની 18 વર્ષની યુવતીના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે. જ્યારે લિવર ભૂજના એક 50 વર્ષીય વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપણ કરાયું છે. આમ આકાશના અંગોથી ત્રણ લોકોને નવજીવન પ્રાપ્ત થયું.

આવી જ રીતે જામનગરના વતની લખન દિનેશભાઈ પરમારનું નિધન થતા તેમના સગાવ્હાલાઓએ પણ અંગદાનનો પથ અપનાવી પોતાના સ્વજનની યાદોને જીવંત બનાવવાનો નિર્ણય કર્યો અને લખનભાઈની બે કિડની અને એક લિવરનું દાન કરાયું હતું. લખનભાઈની એક કિડનીનું ખેડાની 12 વર્ષીય દિકરીના શરીરમાં અને બીજી કિડનીનું ભાવનગરના 24 વર્ષીય વ્યક્તિના શરીરમાં પ્રત્યારોપણ કરાયું હતું. જ્યારે ગાંધીનગર સ્થિત 40 વર્ષીય એક પુરુષ દર્દીના શરીરમાં લખનભાઈના લિવરનું પ્રત્યારોપણ કરાયું છે.

ત્રીજા કિસ્સામાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રહેવાસી જીવરામ રોતના આકસ્મિક નિધનના પગલે તેમના લિવરનું ભરૂચના એક 51 વર્ષીય ભાઈના શરીરમાં, એક કિડનીનું અમરેલીના એક 31 વર્ષીય બહેનના શરીરમાં અને બીજી કિડનીનું જૂનાગઢના એક 35 વર્ષીય બહેનના શરીરમાં પ્રત્યારોપણ કરાયું.

છેલ્લા 3 મહિનાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં SOTTO અંતર્ગત અંગદાનની કાર્યવાહી શરૂ થઈ છે, ત્યારથી ICU માં રોજ જઈ બ્રેઈનડેડ દર્દીઓના સગાનું કાઉન્સિલિંગ કરવામાં આવે છે. છેલ્લા 15 દર્દીઓ જે એલિજીબલ દર્દીઓ લાગતા હતા એમાંથી 7 સગાઓ અંગદાન માટે તૈયાર થયા.. જેના માધ્યમથી 11 લોકોને કિડની, 7 લોકોને લીવર, 4 લોકોને આંખો મળી છે. SOTTO અંતર્ગત ડિસેમ્બર મહિનાથી અંગદાન કરવા માટે કામ શરૂ કરાયું, એક ટીમ બનાવી અને અંગદાન માટે અમે સેન્ટર શરૂ કરવા મંજૂરી માગી. સરકારી હોસ્પિટલમાં અમે અત્યાર સુધી 7 લોકોના અંગદાન કરાવ્યા. સરકારી હોય કે ખાનગી હોય પણ અમે માત્ર 5 દિવસમાં 3 લોકોના અંગદાન કરાવવામાં સફળતા મેળવી છે. જે એક રેકોર્ડ છે

આપણા સમાજમાં રહેલા સામાન્ય માણસો સમયાંતરે ખુબ મોટા કાર્યો કરતા હોય છે. અંગદાન આવું જ એક મહાનકાર્ય છે. પૈસેટકે સુખી અને કહેવાતા સાક્ષર-શિક્ષિત લોકો જે નિર્ણય લેવામાં ખચકાતા જોવા મળે છે એ અંગદાનનું મહાન કાર્ય કરવામાં માલેતુજારોની તુલનાએ ગરીબ માણસો અવ્વલ જોવા મળે છે. આવા જ નાના લોકોના ત્રણ વિભિન્ન પરિવારોએ છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં પોતાના બ્રેઈનડેડ સ્વજનના અંગદાન કરીને સમાજને સાચી રાહ ચીંધી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનાથી  અંગદાન થાય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP, શારદાબેન, એલજી હોસ્પિટલમાં બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવા અંગે  કોઈ ઠોસ કાર્યવાહી નથી થઇ રહી. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેને આ અંગે સવાલ કરવામાં આવતા તેમણે કહ્યું કે તમામ હોસ્પિટલ જે અંગદાન માટે જોડાવવા માગે છે તેમને પરવાનગી આપી છે .