Uttar Pradesh News: ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી ઉત્તરપ્રદેશમાં માત્ર 51 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. 23 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. સાથી પક્ષોને છ બેઠકો આપવામાં આવી છે. પાર્ટી આ વખતે પીલીભીતના સાંસદ વરુણ ગાંધીને ટિકિટ આપશે કે કેમ તે અંગે શંકા છે. આ દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે વરુણ ગાંધીના પ્રતિનિધિઓ દિલ્હીથી પીલીભીત આવ્યા હતા. તેમણે નોમિનેશન પેપરના 4 સેટ ખરીદ્યા અને પાછા દિલ્હી ગયા હતા.
સૂત્રો દાવો કરી રહ્યા છે કે ભાજપ તરફથી ટિકિટ ન મળવાની સ્થિતિમાં વરુણ ગાંધી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે.
ચર્ચા એવી પણ છે કે કોર કમિટીની બેઠકમાં આ વખતે પીલીભીતથી વરુણ ગાંધીને ટિકિટ આપવાનો રાજ્ય સ્તરીય ભાજપના તમામ નેતાઓએ વિરોધ કર્યો છે. પીલીભીતમાં પ્રથમ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આ માટે નોમિનેશન પ્રક્રિયા 20 માર્ચથી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી આ સીટ પરથી ભાજપ કે સપાએ એકપણ ઉમેદવાર ઉતાર્યો નથી. છેલ્લા ઘણા સમયથી વરુણ ગાંધી પોતાની જ પાર્ટી અને સરકાર વિરુદ્ધ મોરચો ખોલી રહ્યા છે. જેના કારણે તેમને ફરીથી ટિકિટ આપવામાં નહીં આવે તેવી દહેશત છે.
એવી પણ ચર્ચા છે કે આ વખતે પીલીભીતમાં અખિલેશ યાદવ વરુણ ગાંધીને સપાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે છે. પીલીભીત એસપી જિલ્લા પ્રમુખ જગદેવ સિંહ જગ્ગે જણાવ્યું કે અખિલેશ યાદવ સાથેની બેઠકમાં અન્ય ઉમેદવારોની સાથે વરુણ ગાંધીના નામ પર પણ ચર્ચા થઈ હતી. જોકે, અખિલેશ યાદવને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભાજપ કોને ટિકિટ આપે છે અને કોને નથી આપતી તે વાત છે. અમારી કમિટી દરેક બાબતને ધ્યાનમાં લે છે.
બુધવારે નોમિનેશન પ્રક્રિયા શરૂ થતાં જ વરુણ ગાંધીના અંગત સચિવ કમલકાંત નામાંકન પત્રો ખરીદવા પહોંચ્યા હતા. આ દરમિયાન વરુણ ગાંધીના કાર્યાલય સચિવ દીપક પાંડે અને એડવોકેટ એમ.આર. મલિક પણ હાજર હતા. ઉમેદવારી પત્રો ખરીદીને વરુણ ગાંધીએ ક્યાંક ને ક્યાંક એવો સંદેશ આપ્યો છે કે તેઓ પીલીભીતથી જ લોકસભાની ચૂંટણી લડશે.
આ પણ વાંચો:રાજ્યમાં ગરમી મચાવશે કહેર, આ 3 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ : કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષ, રાજ્યપાલે માંગ્યો રીપોર્ટ
આ પણ વાંચો:ચૂંટણી પહેલા હરિયાણામાં ગુજરાત જેવો પ્રયોગ, CM સહિત 50% નવા ચહેરા, શું છે